Money9 Gujarati:
છૂટક ફુગાવો સતત 3 મહિના સુધી નરમ પડ્યા બાદ નવેમ્બરમાં વધ્યો છે અને તેને વધારવામાં ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવાનો દર 6.61 ટકા રહ્યો હતો, જે નવેમ્બરમાં વધીને 8.70 ટકા થઈ ગયો હતો. કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત ફુગાવાની બાસ્કેટમાં ખાદ્ય ચીજવસ્તુઓનું વેઈટેજ લગભગ 50 ટકા હોવાથી તેમાં થયેલો વધારો સમગ્ર ઈન્ડેક્સને 6 ટકાની નજીક લઈ ગયો છે. ખાદ્ય ફુગાવો જિદ્દી છે અને દેશનાં જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટીને લાગે છે કે, આગામી સમયમાં પણ તે 7 ટકાથી 9 ટકાની વચ્ચે જળવાઈ રહેશે.
ફુગાવા અંગે અને ખાસ કરીને ખાદ્યપદાર્થોની કિંમતો અંગે ગુલાટી જણાવે છે કે, “2024-25 માટે ડાંગર અને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 7 ટકાથી વધુનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, BJPએ છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ચોખા અને ઘઉંનું સસ્તા ભાવે વેચાણ કરવાની જાહેરાત કરી છે. આથી, ખાદ્ય ફુગાવો 7થી 9 ટકાની રેન્જમાં ચીપકી રહેવાની પ્રબળ સંભાવના છે.”
ઉલ્લેખનીય છે કે, કેબિનેટે 18 ઓખ્ટોબરે માર્કેટિંગ સીઝ 2024-25 માટે ઘઉં સહિતના 6 રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં 2 ટકાથી 7 ટકાની વચ્ચે વધારો કર્યો હતો. એટલું જ નહીં, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જીત હાંસલ કરનાર ભાજપ ટૂંક સમયમાં ઘઉં પર વર્તમાન ટેકાના ભાવ પર બોનસ ઉમેરવાનું ચૂંટણીનું વચન પૂરું કરે તેવી અપેક્ષા છે. ભાજપ છત્તીસગઢમાં ડાંગર માટે પણ વધારે કિંમત ચૂકવવાનું વચન પૂરું કરે તેવી ધારણા છે.
ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્સ (ICRIER)માં પ્રૉફેસર તરીકે કાર્યરત ગુલાટી કહે છે કે, અલ-નીનોની કેવી અસર પડે છે અને ફેબ્રુઆરી-માર્ચમાં હીટવેવ કેટલી આકરી રહે છે, તેના આધારે ફુગાવાની દિશા નક્કી થશે.
જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી અશોક ગુલાટી.
નવેમ્બર 2023ના ફુગાવાના આંકડા અંગે ગુલાટીએ જણાવ્યું હતું કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં લસણ, આદુ, ડુંગળીના ભાવ ભડકે બળી રહ્યાં છે. દાળ 20 ટકા મોંઘી થઈ છે જેમાં તુવેરનો ફુગાવો તો 40 ટકા છે જ્યારે મસાલાનો ફુગાવાનો દર 20 ટકા જેટલો ઊંચો છે.
નવેમ્બરમાં CPI આધારિત ફુગાવાના આંકડા ચકાસીએ તો માલૂમ પડે છે કે, ખાદ્ય ચીજવસ્તુઓમાં પણ શાકભાજી ઈન્ડેક્સ માસિક ધોરણે 5 ટકા વધ્યો છે, કારણ કે ડુંગળીની કિંમતમાં 48 ટકા જ્યારે ટામેટાંની કિંમતમાં 41 ટકા વધારો થયો છે. નવેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર 5.55 ટકા રહ્યો છે, જે ઓક્ટોબરમાં 4.87 ટકા હતો.
ગુલાટી જણાવે છે કે, સરકારે ખાદ્ય ફુગાવાને અંકુશમાં લેવા માટે ખેતીવાડી માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રોકાણ વધારીને ઉત્પાદકતા વધારવા માટે કામ કરવાની જરૂર છે. ખેડૂતો ખેતીવાડી માટે વધુ સારી પદ્ધતિ અપનાવે તેવા પ્રયાસ કરવાની જરૂર છે.
ખાસ કરીને ચૂંટણીના સમયે જોવા મળતું રેવડી કલ્ચર દેશનાં અર્થતંત્ર માટે સારું નથી. મફતમાં ચીજવસ્તુઓ અને સુવિધાઓ આપવાથી દેશ ધનિક બનતો નથી. દેશને ધનિક બનાવવા માટે રોકાણની અને સર્જનાત્મક અભિગમ રાખવાની જરૂર છે, એમ ગુલાટીએ જણાવ્યું હતું.
મુખ્ય અનાજની કિંમતને કાબુમાં રાખવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવાના પગલાં હવે અસરકારક રહ્યાં નથી. ડુંગળી, ખાંડ, ઘઉં કે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી ફુગાવો અંકુશમાં લાવવો એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. આવા પગલાંથી ખેડૂતોએ ભારે કિંમત ચૂકવવી પડે છે અને નિકાસ બજારોમાં પોતાનું સ્થાન જમાવવા માટે નિકાસકારોએ કરેલી વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે. 60ના દાયકામાં નિકાસ પર પ્રતિબંધ મૂકવાના અને વેપારીઓ પર સ્ટોક લિમિટ લાદવાના પગલાં ભરવામાં આવતા હતા, તે હવે આઉટડેટેડ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીને કાબુમાં લેવા માટે વિવિધ કૃષિ કોમોડિટીની નિકાસના નિયમો કડક કરી દીધા છે. ડુંગળીની નિકાસ માર્ચ 2024 સુધી અટકાવવામાં આવી છે. ઘઉં અને ચોખા સહિતની એગ્રી કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ છે. સરકારે સસ્તા ભાવે ટામેટાં પણ વેચ્યા છે અને ઘઉંનો લોટ પણ બજારકિંમત કરતાં ઓછા ભાવે વેચવામાં આવી રહ્યો છે.
જોકે, ગુલાટી કહે છે કે, સરકારે ખેડૂતો અને ગ્રાહકો બંનેનું હિત જળવાઈ રહે તેવી બેલેન્સ્ડ પૉલિસી અપનાવવાની જરૂર છે. આપણી પાસે 600 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ છે, જેનો ઉપયોગ 50 લાખ ટન ઘઉં અને 10-20 લાખ ટન દાળ (ખાસ તો તુવેર)ની આયાત માટે કરવો જોઈએ. ડુંગળી અને ટામેટાંની કિંમતને નીચે લઈ જવા માટે મધ્યમ ગાળા માટે નિર્જલીકૃત ડુંગળી (dehydrated) અને ટામેટાંની પ્યુરીને (tomato puree) પ્રોત્સાહન આપવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો