Money9 Gujarati:
સરકારે તહેવારો દરમિયાન ખાંડનો સ્થાનિક સપ્લાય વધારીને કિંમતને અંકુશમાં રાખવાના ઈરાદા સાથે વધુ 2 લાખ ટન ક્વોટા ફાળવ્યો છે. સરકારે શુગર મિલ્સને અગાઉ 23.5 લાખ ટન ક્વોટા ફાળવ્યો હતો અને ચાલુ મહિને વેચાણ માટે ખાંડનો વધુ બે લાખ ટન ક્વોટા ફાળવ્યો છે. સરકારી નિવેદનમાં જણાવ્યા પ્રમાણે ઓણમ, રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા આગામી તહેવારોમાં ખાંડની માંગ મજબૂત રહેશે અને આથી, ઓગસ્ટ 2023 માટે વધુ 2 લાખ ટન ક્વોટા ફાળવવામાં આવે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિક બજારમાં ખાંડનો સપ્લાય પૂરતા પ્રમાણમાં રહેવાથી ખાંડની કિંમત અંકુશમાં રહેશે.
ખાંડની મોંઘવારીનો દર
આંતરરાષ્ટ્રીય સ્તરે ગયા વર્ષે ખાંડની કિંમતમાં 25 ટકાનો વધારો થયો હતો, છતાં ખાદ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, ભારતમાં ખાંડની સરેરાશ છૂટક કિંમત પ્રતિ કિલો 43.30 રૂપિયાની આસપાસ છે અને તે નિયંત્રણમાં રહેવાની સંભાવના છે. છેલ્લાં 10 વર્ષમાં દેશમાં ખાંડનો ફુગાવાનો દર વાર્ષિક ધોરણે 2 ટકાથી પણ ઓછો રહ્યો છે. ખાંડના ચાલુ માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) 2022-23 દરમિયાન 330 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાનો અંદાજ છે જ્યારે સ્થાનિક વપરાશ લગભગ 275 લાખ ટન રહેવાનો અંદાજ છે.
60 લાખ ટન વધારે જથ્થો
ગયા વર્ષનો કેરી-ફૉરવર્ડ સ્ટૉક અને ચાલુ વર્ષના ઉત્પાદન બાદ ભારત પાસે વર્તમાન 2022-23 વર્ષના બાકીના મહિના માટે સ્થાનિક માંગને પહોંચી વળાય તેટલો પૂરતો જથ્થો. ચાલુ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં (30 સપ્ટેમ્બર, 2023) ખાંડનો વધારાનો 60 લાખ ટન જથ્થો બચશે. આટલો જથ્થો અઢી મહિના સુધી દેશની ખાંડની માંગને પૂરી કરવા માટે પૂરતો છે. આથી, ખાંડના ભાવમાં અત્યારે જે વધારો થયો છે તે ઝડપભેર ઘટી જશે. દર વખતે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન નવું વર્ષ શરૂ થતાં પહેલાં ખાંડના ભાવ વધે છે અને પછી શેરડીનું પીલાણ થયા બાદ ભાવ ઘટે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો