Money9 Gujarati:
સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે નિકાસકારોએ બેરોકટોક નિકાસ ચાલુ રાખવાનો રસ્તો શોધી લીધો છે. સરકારે ગયા સપ્તાહે પ્રતિ ટન 1,200 ડૉલરથી ઓછી કિંમતના સોદા માટે બાસમતી ચોખાની નિકાસ પર અસ્થાપીય પ્રતિબંધ જાહેર કર્યો હતો. જો 1,200 ડૉલરથી વધારે ભાવે સોદો થયો હોય તો નિકાસ ચાલુ રાખવાની છૂટ આપી હતી. એટલે કે સરકારે નિકાસ કરવા માટે મિનિમમ પ્રાઈસ નક્કી કરી દીધી હતી. આથી, નિકાસકારો 1,200 ડૉલરથી વધારે ભાવે સોદો કરવા માટે વૈશ્વિક ખરીદદારો સાથે વાટાઘાટ કરી રહ્યાં છે. નિકાસકારો પહેલાં ઊંચા ભાવે સોદો કરી લેશે અને પછી પોતાના હિસાબે ભાવ નક્કી કરીને માલ મોકલશે. આમ સરકારના નિયમનું પાલન પણ થઈ જશે અને તેમની નિકાસ પણ ચાલુ રહેશે.
15 ઑક્ટોબર સુધી આદેશ લાગુ
દેશમાંથી પ્રીમિયમ બાસમતી ચોખાના નામે થતી નોન-બાસમતી સફેદ ચોખાની ગેરનાનૂની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ઈરાદા સાથે સરકારે નિકાસ પર પ્રતિબંધનો નિયમ જાહેર કર્યો હતો. આ સરકારી આદેશ 15 ઑક્ટોબર 2023 સુધી લાગુ રહેશે. બાસમતી ચોખાની નિકાસ કરતી કંપનીઓને બીક છે કે ભારતમાંથી માલ નહીં જાય તો વૈશ્વિક ખરીદદારો પાકિસ્તાન પાસેથી માલ ખરીદશે. એટલે નિકાસ બજારમાં જે ધંધો જમાવ્યો હતો તે પાકિસ્તાનના વેપારીઓ અને કંપનીઓ આંચકી જશે. આથી, ભારતનાં નિકાસકારો ઓવરબિલિંગનો રસ્તો અપનાવીને નિકાસ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દેશની એક અગ્રણી ચોખા નિકાસકાર કંપનીના અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓવરબિલિંગનો વિકલ્પ થોડાક સમય માટે કામમાં આવી શકે છે. નિકાસકારો ઓવરબિલિંગ કરીને સોદો કરશે અને ભવિષ્યમાં ખરીદદારો સાથે વાતચીત કરીને ભાવ ઘટાડી આપવામાં આવશે.
કોણ કરી શકશે ઓવરબિલિંગ?
નાણાકીય વર્ષ 2022-23માં ભારતમાંથી 38,524.11 કરોડ રૂપિયાના 45 લાખ ટન બાસમતી ચોખાની નિકાસ થઈ હતી. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટ્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ વિજય સેતિયાના જણાવ્યા પ્રમાણે, ઓવરબિલિંગ માત્ર એવા કિસ્સામાં થઈ શકશે જેમાં નિકાસકાર અને ખરીદદાર વચ્ચે વર્ષોનાં સંબંધ હશે. જે નિકાસકારો વિદેશમાં ઑફિસો ધરાવે છે તેમને કદાચ ઓવરબિલિંગ કરવામાં વાંધો નહીં આવે. વિદેશી ખરીદદારો તેમના દેશની માંગને પૂરી કરવા માટે ચોખા ખરીદવા તત્પર છે આથી તેઓ ભારતનાં નિકાસકારો સાથે સહમતિ સાધીને ઓવરબિલિંગના સોદામાં આગળ વધી શકે છે. વિશ્વમાં થતી ચોખાની કુલ નિકાસમાં ભારતનો હિસ્સો 40 ટકા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો