Money9 Gujarati:
ખાદ્ય ફુગાવો હવે આકરો થઈ રહ્યો છે. શાકભાજી, અનાજ, મસાલા અને દૂધ બાદ હવે ફળફળાદિ પણ મોંઘા થવા લાગ્યા છે. કેળાની કિંમત કિલોએ 100 રૂપિયા થઈ ગઈ છે. તામિલ નાડુથી કેળાનો સપ્લાય ઘટવાને લીધે ભાવ ડબલ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ તથા પૂરને કારણે સફરજનના પાકને ગંભીર નુકસાન પહોંચ્યું છે. સફરજનના ભાવ હજુ તો નથી વધ્યા પરંતુ તેની ગુણવત્તા બગડી છે અને સારી ક્વૉલિટીના સફરજન મોંઘા થઈ જવાની શક્યતા વધી છે.
જુલાઈ મહિનામાં છૂટક મોંઘવારીનો દર (Retail Inflation Rate) 7.44 ટકાએ પહોંચી ગયો હતો, જે છેલ્લાં 15 મહિનામાં સૌથી ઊંચો રેટ છે. શાકભાજીના ઊંચા ભાવને કારણે રિટેલ ફુગાવાએ છલાંગ મારી છે અને હવે ફળના ભાવ પણ વધવાથી ચિંતા ઊભી થઈ છે. તહેવારોની સીઝન શરૂ થઈ હોવાથી ફળની મોંઘવારી હજુ આકરી બને તેવા સંકેત મળી રહ્યાં છે. બેંગાલુરુ અને મુંબઈ જેવા શહેરોમાં કેળાના ભાવ 100 રૂપિયાના લેવલને સ્પર્શી ગયા છે.
100 રૂપિયામાં 1 કિલો કેળા
તામિલ નાડુના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેંગાલુરુમાં એક કિલો કેળાની કિંમત 100 રૂપિયા થઈ ગઈ છે. કેળાના સપ્લાય પર અસર પડી હોવાથી અને સામે માંગ વધી હોવાથી ભાવ ઊંચકાયા છે. જોકે, કેળાનાં ઊંચા ભાવનો ફાયદો ખેડૂતોને નહીં, પરંતુ વચેટિયાઓને અને ટ્રાન્સપોર્ટર્સને મળી રહ્યો છે. વચેટિયાઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કરીને છૂટક બજારમાં ઊંચા ભાવે વેચાણ કરી રહ્યાં છે.
સપ્લાયમાં થયો ઘટાડો
કૃષિ એક્સપર્ટ કહે છે કે, સપ્લાયને ખલેલ પહોંચવાથી ભાવ વધી રહ્યાં છે. બેંગાલુરુમાં કેળાનો મુખ્ય સપ્લાય તામિલ નાડુથી થાય છે જ્યારે યુપી અને જમ્મુ એન્ડ કાશ્મીરમાં મહારાષ્ટ્રના કેળાનો સપ્લાય છે. બેંગાલુરુ APMCના સચિવ રાજન્ના કહે છે કે, તામિલ નાડુથી મળતો સપ્લાય મર્યાદિત થઈ જવાથી કેળાની કિંમત વધી રહી છે. બેંગાલુરુમાં મુખ્યત્વે એલાક્કીબેલ અને પચબાલે જાતના કેળાંનો વપરાશ છે. ત્યાંનાં બિન્નીપેટ બજારમાં મહિના અગાઉ એલાક્કીબેલ કેળાનો 1,500 ક્વિન્ટલ માલ ઠલવાતો હતો પરંતુ હવે 1,000 ક્વિન્ટલ માલ આવી રહ્યો છે. આમ, સપ્લાય ઘટ્યો છે પરંતુ માંગ વધારે હોવાથી કેળાના ભાવ વધવા લાગ્યા છે.
બેંગાલુરુ APMCના સચિવનું કહેવું છે કે, તામિલ નાડુ કેળાના સપ્લાય માટે હોસુર અને કૃષ્ણાગીરી પર નિર્ભર છે. ઓછામાં પૂરું આંતરરાજ્ય સપ્લાયમાં વિક્ષેપ પડવાથી હોલસેલ માર્કેટમાં એલક્કીબેલ કેળાની કિંમત પ્રતિ કિલોએ રૂ.78 થઈ ગઈ છે જ્યારે પચબાલે કેળાની કિંમત રૂ.18થી રૂ.20 છે. આમ, જથ્થાબંધ બજારની અસર રિટેલ બજારમાં જોવા મળી રહી છે. પરિવહન ખર્ચ અને બજારના અન્ય ખર્ચાને ઉમેરીએ તો આ બંને કેળાની છૂટક કિંમત અનુક્રમે રૂ.100 અને રૂ.40 થઈ ગઈ છે.
તહેવારોમાં ભાવ હજુ વધશે
તહેવારોની સીઝન ચાલુ થઈ ગઈ છે. શ્રાવણ શરૂ થઈ ગયો છે. ઓણમ, ગણેશ ચતુર્થી, નવરાત્રિ જેવા તહેવારો વખતે કેળાની માંગ વધશે અને જો સપ્લાય સારો નહીં હોય તો ભાવ હજુ વધી શકે છે. ખેતીવાડી સાથે જોડાયેલા નિષ્ણાતો કહે છે કે, માંગને ધ્યાનમાં રાખીને સપ્લાય વધારવાની જરૂર છે. સપ્લાય કેવી રીતે વધશે તે એક પડકાર છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં નાણાકીય વર્ષ 2022-23માં અંદાજે 3.49 કરોડ ટન કેળાનું ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે. દેશમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન તામિલ નાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થાય છે.
સફરજનના ઉત્પાદન પર અસર
ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં સફરજનના પાકને 50 ટકા નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. હિમાચલ પ્રદેશમાં ઉત્પાદન ઘટીને અંદાજે 1.5 કરોડ બોક્સ (22 કિલોનું એક બોક્સ) થવાનો અંદાજ છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ સફરજનનું ઉત્પાદન 50 ટકા ઓછું થવાનું ત્યાંના ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યાં છે. ભારે વરસાદ અને પૂરને કારણે આ રાજ્યોમાં ખેતીવાડીને પારાવાર નુકસાન પહોંચ્યું છે, જે પાક બચી ગયો છે તેની ક્વૉલિટી પણ ખરાબ થઈ ગઈ છે. પરિણામે, બજારમાં સારી ક્વૉલિટીના સફરજનના ભાવ ઊંચકાયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો