Money9 Gujarati:
Atmanirbhar In Pulses Production: સહકારી પ્રધાન અમિત શાહે ખેડૂતો પાસેથી તુવેર દાળની સીધી ખરીદી કરવા માટે ઈ-પોર્ટલ લોન્ચ કર્યું છે અને જણાવ્યું છે કે, ડિસેમ્બર 2027 સુધીમાં આપણે કઠોળની આયાતના મોરચે આત્મનિર્ભર બની જઈશું. એટલે કે, હજુ પણ ચારેક વર્ષ માટે આપણે આયાત પર નિર્ભર રહેવું પડશે. તેમણે જણાવ્યું છે કે ભારત જાન્યુઆરી 2028થી એક પણ કિલો દાળની આયાત નહીં કરે. ખેડૂતો આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી શકે છે અને તેમની પેદાશો નાફેડ અને NCCFને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અથવા બજાર કિંમતે વેચી શકે છે. શાહે કહ્યું કે ભવિષ્યમાં અડદ અને મસૂર દાળના ખેડૂતો તેમજ મકાઈના ખેડૂતો માટે પણ આવી જ સુવિધા શરૂ કરવામાં આવશે.
શાહે કહ્યું કે, “દેશ હજુ પણ ચણા અને મગ સિવાયના ઘણા પ્રકારના કઠોળ માટે આયાત પર નિર્ભર છે. ડિસેમ્બર 2027 સુધીમાં દેશ કઠોળમાં આત્મનિર્ભર બનવો જોઈએ. અમે જાન્યુઆરી 2028થી એક પણ કિલો દાળની આયાત નહીં કરીએ.”
તેમણે કહ્યું કે, લઘુત્તમ ટેકાના ભાવમાં બે ગણાથી વધુ વધારાના આધારે છેલ્લાં 10 વર્ષમાં કઠોળનું ઉત્પાદન 2013-14 પાક વર્ષ (જુલાઈ-જૂન)માં 1.92 કરોડ ટનથી વધીને 2022-23માં 2.605 કરોડ ટન થયું છે. જોકે, કઠોળનું સ્થાનિક ઉત્પાદન હજુ પણ માંગ પૂરી કરવા માટે પૂરતું નથી અને આથી આયાત પર આધાર રાખવો પડે છે. અમિત શાહે કહ્યું કે, આ વેબ પોર્ટલ શરૂ થવાથી અને કઠોળના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર બનવાથી દેશના સામાન્ય લોકોને સસ્તા ભાવે કઠોળ મળી શકશે.
અમિત શાહે કહ્યું કે ખેડૂતો નાફેડ અને NCCFના વેબ પોર્ટલ પર તુવેર દાળનું વેચાણ કરી શકશે. ખેડૂતે ઓનલાઈન વેચાણ કરવા માટે ખેતી કરતા પહેલા આ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. પાકના ઉત્પાદન પછી, ખેડૂતો તેમની તુવેર દાળને ટેકાના ભાવે ઓનલાઈન પોર્ટલ પર વેચી શકે છે. સરકાર ખેડૂતોને તેમના કઠોળ માટે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ચૂકવણી કરશે. જો કઠોળની કિંમત MSP કરતા વધારે હશે તો સરકાર ઉંચી કિંમત આપવા માટે કોઈ અન્ય ફોર્મ્યુલા લાવશે.
અમિત શાહે કહ્યું કે ખેડૂતો તેમની ઉપજની યોગ્ય કિંમત ન મળવાને કારણે કઠોળની ખેતી કરવાથી દૂર રહે છે. કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાની અપીલ કરી અને કહ્યું કે જો ખેડૂતો કઠોળના ઉત્પાદન પછી બજારમાં તેમની ઉપજ વેચે છે જ્યાં તેમને વધુ ભાવ મળે છે, જો કિંમત MSP કરતા ઓછી હોય તો તેમની ઉપજ નાફેડને વેચવામાં આવશે. અને સરકાર ખાતરી આપે છે કે NCCF ચોક્કસપણે તેને ખરીદશે. અમિત શાહે કહ્યું કે સરકાર તુવેર, અડદ અને મસૂરના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો