વર્ષ 2023માં શેરબજારમાં ભરપૂર કમાણી થઈ. 2023માં રોકાણકારો ધૂમ કમાયા. નિફ્ટી આખા વર્ષમાં લગભગ 20 ટકા વધ્યો અને 2021 પછી સૌથી વધુ વળતર મળ્યું. પરંતુ હવે સવાલ એ થાય કે, શું 2024માં પણ શેરબજારમાં 2023 જેવી તેજી જોવા મળશે…? શું 2024માં પણ 20 ટકા રિટર્ન મળશે? 2024માં બજારને ઉપર લઈ જવામાં કયા પરિબળ ભૂમિકા ભજવશે..? એનાલિસ્ટ્સને શું લાગે છે? શું અત્યારે શેરબજારમાં એન્ટર થવાની યોગ્ય તક છે?
નિફ્ટી છેલ્લાં 8 વર્ષથી સતત પોઝિટિવ રહ્યો છે. 2023માં પણ કેટલાક પરિબળોએ બજારને ઉપર લઈ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. 2023માં 5 રાજ્યોમાંથી ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ભાજપની જીત થઈ હતી, મ્યુચ્યુઅલ ફંડ્સમાં અઢળક રૂપિયા ઠલવાયા હતા અને અમેરિકામાં વ્યાજ દર ઘટવાની આશાને પગલે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય બજારને ટેકો આપ્યો હતો. પરંતુ, નવાઈની વાત એ છે કે, 2023માં મળેલા 20 ટકા વળતરમાંથી લગભગ 13 ટકા વળતર તો વર્ષના છેલ્લાં બે મહિનામાં જ મળ્યું છે. મહિના પ્રમાણે જોઈએ તો, 2023માં ડિસેમ્બર મહિનામાં સૌથી વધુ વળતર મળ્યું હતું.
હવે જોવાનું એ રહ્યું કે, શું 2024માં પણ બજારમાં 20 ટકા વળતર મળશે…? બજારનું વેલ્યુએશન જોતા શું લાગે છે….?
નિફ્ટીનો PE એટલે કે, પ્રાઈસ-ટુ-અર્નિંગ્સ મલ્ટિપલ અત્યારે લગભગ 23ની આસપાસ છે. છેલ્લાં 10 વર્ષના સરેરાશ PE મલ્ટિપલ કરતાં અત્યારનો PE વધારે છે. કોટક સિક્યોરિટીઝના તાજા રિપોર્ટ પ્રમાણે, નિફ્ટીનું વેલ્યુએશન 20 ટકા વધારે છે અને આવતા 6થી 9 મહિનામાં બજારમાં કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા છે. એટલે કે, બજાર આવતા કેટલાક મહિના સુધી વર્તમાન સ્તરની આસપાસ રહી શકે છે. 2024માં સંસ્થાગત રોકાણકારોની ખરીદી કરતાં વધારે મહત્વ ફંડામેન્ટલ્સનું રહેશે. આ કારણસર, 2024ના અંત સુધીમાં નિફ્ટી 21,834ના સ્તર સુધી જ પહોંચી શકશે.
શેરબજારના નિષ્ણાત અંબરીશ બાલીગા કહે છે કે, બજારનું વેલ્યુએશન મોંઘું છે. ખાસ તો નાના અને SME શેર્સ જોખમી છે. બજારમાં ક્યારે અને કેટલો મોટો ઘટાડો આવશે, તેની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ કંપનીઓના નફામાં વૃદ્ધિની તુલનાએ બજાર ઘણું આગળ વધી ચૂક્યું છે. આથી, મજબૂત પ્રોફિટબૂકિંગની શક્યતા છે અને 2024માં નિફ્ટીમાં 20,000 અથવા તો તેના કરતાં પણ નીચેનું સ્તર જોવા મળે તેવી શક્યતા છે.
એકંદરે બજારનું વર્તમાન વેલ્યુએશન વધારે પડતું છે… તો શું અત્યારે બજારમાં પ્રવેશવાનો યોગ્ય સમય છે…? શેરબજાર કંઈ રોજેરોજ રમવાનું મેદાન નથી. રોજેરોજ શેરબજારમાં રમવું હિતાવહ પણ નથી.. મની9 તમને લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ આપે છે…. પરંતુ સવાલ એ છે કે, 10 વર્ષના
સરેરાશ વેલ્યુએશન પર ટ્રેડ થઈ રહેલા બજારમાં અત્યારે એન્ટ્રી કરવી યોગ્ય છે…? તેનો જવાબ જાણવા માટે 2024ના ટ્રિગર્સને સમજવા જરૂરી છે. એટલે કે, આ વર્ષે બજારમાં કઈ મોટી ઘટનાઓની અસર પડી શકે છે, તે જાણીએ.
2024માં ત્રણથી ચાર મહત્ત્વની ઘટના શેરબજારની દિશા નક્કી કરશે. સૌથી પહેલી ઘટના છે- મે મહિનામાં થનારી લોકસભાની ચૂંટણી. બીજી ઘટના છે – અમેરિકામાં ફેડ દ્વારા વ્યાજ દરમાં થનારો ઘટાડો. ત્રીજી ઘટના છે – ક્રૂડ ઓઈલની કિંમત, જેના પર મોંઘવારીનો અને આર્થિક વૃદ્ધિદરની સાથે સાથે કંપનીઓની કમાણીનો આધાર રહેલો છે. અને ચૌથું ટ્રિગર પોઈન્ટ છે – વિદેશી સંસ્થાગત ઈન્વેસ્ટર્સની ખરીદદારી. વિદેશી રોકાણકારોએ 2023ના છેલ્લાં બે મહિનામાં લગભગ 75 હજાર કરોડ રૂપિયા ઈક્વિટીમાં તેમજ બૉન્ડ્સમાં નાખ્યા હતા. તો શું 2024માં પણ વિદેશી રોકાણકારો ખરીદી કરશે..?
હવે વાત કરીએ, 2024ના આઉટલૂકની… શેરબજારના એક્સપર્ટ સંતોષ સિંહ કહે છે કે, બજારનું વેલ્યુએશન ભલે મોંઘું હોય, પરંતુ નેસલે અને બ્રિટાનિયા જેવી કેટલીક કંપનીના શેરમાં સારું વળતર મળવાની શક્યતા છે. નિફ્ટી માટે 21,050 અને ત્યારબાદ 20,300 મહત્ત્વની ટેકાની સપાટી છે. ઉપરની બાજુએ 21,600 અને 21,900 અને ત્યારબાદ 22,400 રઝિસ્ટન્ટ્સનું કામ કરશે.
સ્ટોક માર્કેટના એક્સપર્ટ રવિ સિંઘનું માનવું છે કે, લાર્જકેપ અને આઈટી શેર્સને બાદ કરીને, અમુક નાની-મોટી કંપનીઓમાં તેમજ સરકારી કંપનીઓના શેર્સમાં 25 ટકા સુધીનું વળતર મળી શકે છે. બજારે 20,500ની આસપાસ બેઝ બનાવી લીધો છે, એટલે અહીંથી મહત્તમ 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકશે, પરંતુ તેનાથી વધુ ઘટાડો નહીં થાય. એટલે જો તમે બજારમાં એન્ટ્રી કરવા માંગતા હોવ તો, 60 ટકા રોકાણ અત્યારે કરી શકો છો. પછી જો બજારમાં પાંચેક ટકાનો ઘટાડો થાય તો 20 ટકા રોકાણ કરો અને વધુ 3 ટકા ઘટાડો થાય ત્યારે બાકીનું 20 ટકા રોકાણ કરી શકો છો.
આમ કહી શકાય કે, 2023 જેવી તેજી 2024માં જોવા મળે તેવી શક્યતા લાગતી નથી. કારણ કે, બજાર વધતું જશે તેમ-તેમ પ્રોફિટબૂકિંગની શક્યતા વધતી જશે. પરંતુ ચોક્કસ શેરમાં સારું રિટર્ન મળવાની શક્યતા છે. આથી, મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા અથવા ઈન્ડેક્સ ફંડ્સ દ્વારા રોકાણનો વિકલ્પ પસંદ કરો અને શેરબજારના મોટા ઘટાડાની ડાયરેક્ટ અસરથી બચીને રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો