Money9 Gujarati:
શેરબજારમાં છેક ડિસેમ્બર મહિના સુધી તેજી જળવાઈ રહેવાની શક્યતા છે. NSEનો બેન્ચમાર્ક Nifty ઈન્ડેક્સ ડિસેમ્બર 2024 સુધીમાં 25,800એ પહોંચી જવાની શક્યતા છે, કારણ કે, આર્થિક નીતિઓમાં સ્થિરતા છે અને સામાન્ય વરસાદ થવાથી માંગમાં વૃદ્ધિને વેગ મળશે, એમ બ્રોકરેજ કંપની પ્રભુદાસ લીલાધરે તેના રિપોર્ટમાં જણાવ્યું છે.
પ્રભુદાસ લીલાધરે જણાવ્યું છે કે, 2024ના અંત સુધીમાં નિફ્ટી 25,800ના લેવલ સુધી પહોંચી શકે છે. અત્યારે નિફ્ટી 22,500ની આસપાસ છે. એટલે કે, ડિસેમ્બર 2024ના અંત સુધીમાં તેમાં 3,300 પોઈન્ટ્સનો વધારો થઈ શકે છે.
“તાજેતરમાં, નિફ્ટી તેની સર્વકાલીન ટોચ પર પહોંચ્યો હતો, પરંતુ ત્યારબાદ વધતા ભૌગોલિક રાજકીય તણાવ, ક્રૂડ ઓઇલ અને કોમોડિટીના ભાવમાં વધઘટ અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત વ્યાજ દર ઘટાડો અંગેના જુદા જુદા દ્રષ્ટિકોણને કારણે લગભગ 4 ટકાના સુધારાનો અનુભવ થયો હતો,” એમ પ્રભુદાસ લીલાધરના હેડ (ઈન્સ્ટિટ્યૂશનલ રિસર્ચ) અમ્નીશ અગ્રવાલે જણાવ્યું હતું.
ચૂંટણીમાં મોદી સરકાર રિપીટ થવાની શક્યતા તેમજ ચોમાસું સામાન્ય જવાનો અંદાજ હોવાથી રોકાણકારોમાં ભરોસો વધ્યો છે. પ્રભુદાસ લીલાધરે તેના રિપોર્ટ ‘India Strategy Report Democratic Hat-trick to Re-Rate Markets’માં નોંધ્યું છે કે, “NDA સરકાર ફરી સત્તા પર આવવાનું ચિત્ર સ્પષ્ટ હોવાથી તેમજ લા નીનાને કારણે સામાન્ય ચોમાસુ રહેવાથી નીતિઓમાં સ્થિરતા જોવા મળશે અને માંગ વધવાથી આર્થિક વૃદ્ધિને વેગ મળવાની અપેક્ષા છે, જેના પરિણામે નિફ્ટીમાં સતત પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળશે.” બ્રોકરેજ ફર્મનું વિશ્લેષણ દર્શાવે છે કે એનડીએ અને યુપીએ બંને હેઠળ અર્થતંત્ર અને બજારોએ સારો દેખાવ કર્યો છે.
જૂનનું પ્રથમ સપ્તાહ નિર્ણાયક રહેવાની ધારણા છે કારણ કે, રાજકીય મોરચે અનિશ્ચિતતાનો માહોલ સમાપ્ત થઈ જશે અને ચોમાસાનું ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે, જેના લીધે FIIના રોકાણમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૂન મહિનાના પ્રથમ સપ્તાહે સ્થિતિ વધુ સ્પષ્ટ થઈ જશે. જૂનના પ્રથમ સપ્તાહમાં નવી સરકાર બની જવાની અપેક્ષા છે. આથી, શેરબજાર માટે જૂન મહિનાનું પ્રથમ સપ્તાહ અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો