Jaiprakash Associates Loan Defaults: મુશ્કેલીનો સામનો કરી રહેલા Jaypee Groupની કંપની Jaiprakash Associates 4,616 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી કરી શકી નથી. આ રકમ 30 એપ્રિલે ચૂકવવાની હતી, પરંતુ કંપનીએ 6 મે, મંગળવારે જમા કરેલા નિયમનકારી દસ્તાવેજમાં લોન ભરવામાં નિષ્ફળતાની વાત સ્વીકારી છે. લોનની કુલ રકમમાં 1,751 કરોડ રૂપિયાની મુદત અને 2,865 કરોડ રૂપિયાનું વ્યાજ સામેલ છે. આમ, જયપ્રકાસ એસોસિએટ્સ 4,616 કરોડ રૂપિયાની લોનમાં ડિફૉલ્ટ થઈ છે.
જયપ્રકાશ એસોસિએટ્સનો શેર 7 મે, બુધવારના રોજ 6.40 ટકા ઘટીને 17.55 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.
કુલ ઉધારી Rs 29,805 કરોડ
કંપનીએ જણાવ્યું છે કે, વ્યાજ સાથે તેની કુલ ઉધારીનો આંકડો 29,805 કરોડ રૂપિયા છે, જેની ચૂકવણી 2037 સુધીમાં કરવાની છે. આમાંથી, 4,616 કરોડ રૂપિયાની ચૂકવણી 30 એપ્રિલ, 2024 સુધીમાં કરવાની હતી. કંપનીએ આ લોન અલગ-અલગ બેન્કોમાંથી લીધેલી હતી.
કંપનીએ જણાવ્યું છે કે, 29,805 કરોડ રૂપિયાની કુલ ઉધારીમાંથી 18,955 કરોડ રૂપિયા સૂચિત સ્પેશિયલ પર્પઝ વ્હિકલ (SPV)ને ટ્રાન્સફર કરવામાં આવશે. તેના માટે સ્કીમ ઑફ અરેન્જમેન્ટના હિતધારકોની મંજૂરી મળી છે, પરંતુ હજુ સુધી નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મળી નથી. કંપનીએ જણાવ્યું છે કે, તમામ પરિસ્થિતિમાં લોનની સંપૂર્ણ રકમ રિસ્ટ્રક્ચર કરવામાં આવશે.
જયપ્રકાશ એસોસિએટ્સે જણાવ્યું છે કે, એક જવાબદાર લોનધારક તરીકે કંપની ઉધારીનો બોજ હળવો કરવા માટે તમામ પગલાં ભરી રહી છે. સિમેન્ટ કારોબારના સૂચિત વેચાણ બાદ સુધારેલી રિસ્ટ્રક્ચરિંગ યોજના અંતર્ગત ઉધારી લગભગ ઝીરો થઈ જશે.
Published - May 7, 2024, 09:34 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો