કોલેજ જવાની તૈયારી કરી રહેલો રજતના મનમાં એક સવાલ છે કે, આ કંપનીઓના પ્રમોટર કોણ હોય છે? થોડુંક ગૂગલ કરતાં તેને જાણવા મળ્યું કે, કંપનીમાં પ્રમોટર એટલે કંપનીનો માલિક. એટલે કે, બિઝનેસને એક આઇડિયામાંથી નફાકારક કંપનીમાં તબદીલ કરવાનું તમામ કામ આ પ્રમોટરનું જ હોય છે.
કોઈ કંપનીમાં એક, બે કે તેનાથી વધારે પણ પ્રમોટર હોઇ શકે છે. કેટલાક કિસ્સામાં તો, એક કંપની પણ બીજી કંપનીની પ્રમોટર હોઇ શકે છે. પ્રમોટરની જવાબદારી કંપનીને ચલાવવા માટે મૂડી ભેગી કરવાની પણ હોય છે. સારા પ્રમોટર કંપનીને મોટી બનાવે છે અને ખરાબ પ્રમોટર ચાલુ કંપનીને તાળા પણ મરાવી શકે છે.
ઉદાહરણ લઈને સમજીએ કો, અંબાણી પરિવારનો દાખલો આપણી સામે જ છે. 2004માં જ્યારે બંને ભાઈ વચ્ચે ભાગલા પડ્યા ત્યારે મુકેશ અને અનિલ અંબાણી, બંનેનું નામ ટોચનાં ધનિકોની યાદીમાં આવતું હતું. પરંતુ આજે શું સ્થિતિ છે? તે બધા જાણે છે.
મુકેશ અંબાણીના ભાગે RIL એટલે કે, ટેક્સટાઇલ, પેટ્રોકેમિકલ અને કેમિકલનો કારોબાર આવ્યો હતો. તે સમયે કંપનીની માર્કેટ કેપ માત્ર 75 હજાર કરોડ રૂપિયા જ હતી. આજે RIL પાસે તેલ-ગેસ, રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ રિટેલ, ટેલિકોમ અને મીડિયાનો બિઝનેસ છે અને હવે કંપનીની માર્કેટ-કેપ લગભગ 18 લાખ કરોડ રૂપિયાની આસપાસ છે.
બીજી તરફ છે અનિલ અંબાણી અને તેમની ત્રણેય કંપની રિલાયન્સ એનર્જી, રિલાયન્સ કેપિટલ અને રિલાયન્સ ઇન્ફોકોમ. તે સમયે, માર્કેટ કેપ 50 હજાર કરોડ રૂપિયાની આસપાસ હતી, જે આજે માત્ર 3 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે. અનિલ અંબાણી તો ડિફોલ્ટ પણ કરી ચૂક્યા છે.
આમ, કોઈ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં પ્રમોટરની માહિતી મેળવવી જરૂરી છે. તમારે એ પણ જાણી લેવું જોઈએ કે, પ્રમોટર કોણ છે? તેનો ટ્રેક રેકોર્ડ કેવો છે? તેની હાજરીમાં કંપનીએ કેવું પ્રદર્શન કર્યું છે? આ તમામ વાતો એવી છે, જે જાણવી અને સમજવી જરૂરી છે.
MONEY9ની સલાહ છે કે, કોઈ કંપનીમાં રોકાણ કરતાં પહેલાં તેના પ્રમોટરની પૂરતી જાણકારી મેળવી લો. તે પણ જાણી લો કે, કંપનીમાં તેનો કેટલો હિસ્સો છે અને તેના નેતૃત્વમાં કંપનીએ કેવું પ્રદર્શન કર્યું છે. ભારતની મોટા ભાગની કંપનીઓમાં પ્રમોટર્સનો હિસ્સો મહત્તમ હોય છે. પ્રમોટરની હિસ્સેદારી, રોકાણકારોમાં કંપની પ્રત્યેનો વિશ્વાસ વધારે છે.
રોકાણ કરતાં પહેલાં કંપનીમાં છેલ્લાં 5 વર્ષ દરમિયાન પ્રમોટરનું હોલ્ડિંગ કેટલું હતું તેનો અભ્યાસ કરી લેવો જોઈએ. જો પ્રમોટર હોલ્ડિંગ વધી રહ્યું હોય અથવા સ્થિર હોય તો કંપનીમાં રોકાણ કરવામાં વાંધો નથી, પણ જો પ્રમોટર હોલ્ડિંગ ઘટી રહ્યું હોય અથવા પ્રમોટર્સે મોટો હિસ્સો ગીરવે મૂક્યો હોય તો રોકાણ કરતાં પહેલાં સાવધાની રાખજો.
પ્રમોટર્સ શેર્સ અથવા પ્રમોટર્સ હોલ્ડિંગ એટલે કંપનીના કુલ આઉટસ્ટેન્ડિંગ શેર્સમાંથી પ્રમોટર પાસે કેટલા શેર્સ છે તેનો આંકડો. જો પ્રમોટર જ કંપનીનો માલિક હોય અને તે કંપની શરુ કરવા જઈ રહ્યો હોય તો તેની પાસે 100 ટકા હિસ્સો હોવો જોઈએ. જો કંપનીને મૂડીની જરૂર હોય તો માલિક IPO કે અન્ય વિકલ્પો દ્વારા હિસ્સો વેચી શકે છે.
જોકે, કેટલાક શેર્સ પ્રમોટર્સ પોતાની પાસે રાખે છે. ધારો કે, કંપની પાસે કુલ 100 શેર્સ છે. તેમાંથી શેરધારકો સહિતના રોકાણકારો પાસે 20 જેટલાં શેર્સ છે. તો બાકીના 80 શેર્સ એ પ્રમોટર હોલ્ડિંગ છે. પ્રમોટર પાસે જેટલું વધારે હોલ્ડિંગ હશે કંપની પર તેટલો વધારે અંકુશ તેને મળશે.
જો પ્રમોટર પાસે કંપનીનો 45થી 50 ટકા હિસ્સો હોય તો, તો તેને સારું પ્રમોટર હોલ્ડિંગ ગણવામાં આવે છે અને જો હોલ્ડિંગ 75 ટકા જેટલું વધારે હોય તો, તેને ખૂબ જ સારી બાબત ગણવામાં આવે છે. પ્રમોટર હોલ્ડિંગ 75 ટકાથી વધુ ના હોઈ શકે, કારણ કે, સેબીના લિસ્ટિંગના નિયમ પ્રમાણે, કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 75 ટકાથી વધારે ન હોવો જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો