શું તમે જાણો છો કે વોડાફોન ઇન્ડિયા, પિરામલ ફાર્મા, ઇન્ડિગો, GMR એરપોર્ટ્સ અને PVR INOXમાં શું સમાનતા છે? આ બધી કંપનીઓએ નાણાકીય વર્ષ 2023માં ખોટ નોંધાવી છે. એવું નથી કે આ કંપનીઓ કમાણી નથી કરી રહી એટલે કે તેમનું વેચાણ નથી વધી રહ્યું. જો આ કંપનીઓની આવક વધી રહી છે અને કારોબારનો વિસ્તાર થઇ રહ્યો છે તો એવું તો શું છે કે, જે આ કંપનીઓનો નફો ખાઇ રહ્યો છે… ચાલો સમજીએ
કોઇ પણ કંપનીને કારોબાર ચલાવવા અને વિસ્તરણ કરવા માટે મૂડીની જરૂર હોય છે. જો કારોબારથી થતા નફાથી વિસ્તરણની જરૂરિયાત પૂરી થઇ જતી હોય તો કંપનીઓએ ઋણ લેવાની જરૂર નથી પડતી. પરંતુ જે કંપનીઓ પોતાની મૂડીની જરૂરિયાત જાતે પૂરી કરી શકતી નથી તેમણે રોકાણકારો કે બેન્કો પાસેથી મદદ લેવી પડે છે એટલે કે ઋણ લેવું પડે છે. પરંતુ સવાલ તે છે કે, જો કોઇ પણ કંપની ઋણ લે છે તો શું તે સારું કહેવાય કે ખરાબ.
આંકડા બતાવે છે કે, નાણાકીય વર્ષ 2018થી લઇને નાણાકીય વર્ષ 2023 સુધી નિફ્ટી 500 કંપનીઓનો વ્યાજ ખર્ચ 1 લાખ 73 હજાર કરોડથી વધીને લગભગ 3 લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં આ કંપનીઓના વ્યાજ ખર્ચમાં લગભગ 73 ટકાનો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2022ની તુલનામાં પણ આ કંપનીઓના વ્યાજ ખર્ચમાં લગભગ 14 ટકાનો વધારો થયો છે. જોકે, આ આંકડાઓમાં નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને બેન્કોનો સમાવેશ થતો નથી.
નાણાકીય વર્ષ 2024માં વ્યાજ ખર્ચમાં વધારાનો ટ્રેન્ડ ચાલુ રહેવાનું અનુમાન છે. ઇન્ડિયા રેટિંગ્સના રિપોર્ટ મુજબ નાણાકીય વર્ષ 2024માં કંપનીઓના વ્યાજ ખર્ચમાં 30 ટકાનો વધારો થવાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2022ની તુલનામાં વ્યાજ ખર્ચ 3.38 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. નાણાકીય વર્ષ 2022માં વ્યાજ ખર્ચ રૂ. 2.52 લાખ કરોડ હતો. આ અનુમાનમાં 3,365 નોન ફાઇનાન્સિયલ કંપનીઓના આંકડા શામેલ છે. હકીકતમાં રેપો રેટમાં વધારો થવાથી નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિકગાળાથી કોર્પોરેટ્સનો વ્યાજ ખર્ચ વધવાનું શરૂ થઇ ગયું હતું. કારણકે રિઝર્વ બેન્કે મે 2022માં રેપોરેટમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2023 સુધી રેપો રેટ 2.5 ટકા વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો. જોકે, રિઝર્વ બેન્કે છેલ્લી બે બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી. તેમ છતાં ઇન્ડિયા રેટિગ્સે નાણાકીય વર્ષ 2024માં કોર્પોરેટ્સનો વ્યાજ ખર્ચ હજુ વધવાની ધારણા વ્યક્ત કરી છે. કારણકે બેન્કોના MCLRમાં વધારો થવાની સંભાવના છે.
હવે મહત્વનો સવાલ તે છે કે, વ્યાજ ખર્ચને કંપનીઓના નફા પર શું અસર થાય છે અને તેને રોકાણકારોએ કેવી રીતે સમજવું જોઇએ. આમ તો, લગભગ બધી કંપનીઓ પોતાના બિઝનેસ માટે ઋણ લે છે. ઉદાહરણ તરીકે, દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર પણ ભારે ઋણ બોજ છે. પણ સારા-ખરાબ ઋણની પરખ કેવી રીતે કરવી? તેની સૌથી સહેલી રીત છે કંપનીઓનો વાર્ષિક વ્યાજ ખર્ચ અને નફાની તુલના કરવી. જો કોઇ કંપનીનો ખોટ કરી રહી છે અને વાર્ષિક વ્યાજ ખર્ચનો આંકડો ખોટ કરતાં પણ વધુ છે તો તમે સમજી શકો છો કે વ્યાજ ખર્ચ કંપનીના નફાને ખાઇ રહ્યો છે. એટલે કે વધુ વ્યાજ ખર્ચને કારણે કંપની ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. ઉદાહરણ તરીકે, GMR એરપોર્ટ્સે 2018 કરોડ રૂપિયાનું વ્યાજ ચુકવ્યું જેને કારણે કંપનીને રૂ. 752 કરોડનું નુકસાન થયું હતું. તેવી જ રીતે આદિત્ય બિરલા ફેશને 389 કરોડનું વ્યાજ ચુકવ્યું હતું જેને કારણે કંપનીને રૂ. 118 કરોડનું નુકસાન થયું હતું.
તો સારા ખરાબ ઋણની પરખ કેવી રીતે કરવી?
બજાર નિષ્ણાત અમ્બરિશ બાલિગાના કહેવા મુજબ, રોકાણકારોએ કંપનીનો ફ્યુચર કેશ ફ્લો જોવો જોઇએ. જો તે શક્ય ના હોય તો તમારે ચેક કરવું જોઇએ કે કંપની દેવું શેના માટે કરી રહી છે કેપિટલ એક્સપેન્ડિચર માટે કે વર્કિંગ કેપિટલ માટે. જો લોન વર્કિંગ કેપિટલ માટે લેવાઇ રહી હોય તો તે કંપનીની આર્થિત સ્થિતિ માટે સારું નથી. આગળ જતા કંપની માટે સમસ્યા પેદા થઇ શકે છે. રોકાણ કરવાની દૃષ્ટિથી જોઇએ તો અત્યારે વોડાફોન ઇન્ડિયાથી દૂર રહો કારણકે તે તેનો બિઝનેસ ચલાવવા માટે દેવું કરી રહી છે. તમે લોન્ગ ટર્મ માટે ઇન્ડિગોમાં રોકાણ કરી શકો છો કારણકે તે કામકાજના વિસ્તરણ માટે લોન લઇ રહી છે.
જો તમે પણ તમારી મહેનતની કમાણી શેરબજારમાં રોકવા જઇ રહ્યા છો તો તમારે કંપનીની બેલેન્સ શીટ ખાસ ચેક કરી લેવી જોઇએ. રિટેલ રોકાણકારે સૌ પહેલાં ચેક કરી લેવું જોઇએ કે કંપની માથે દેવું છે કે નહીં. જો દેવું હોય તો આ દેવું થવા પાછળનું કારણ તમારે જાણવું જોઇએ. અને તે પણ ચેક કરો કે કંપનીનું દેવું કંપનીના નફાને ખાઇ તો નથી રહ્યું ને…..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો