Money9: અમદાવાદની અર્પિતા ઘરના સમારકામ માટે તેના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એ હજુ તેના ખાતામાં વર્ષ 2022-23નું વ્યાજ નથી ઉમેર્યું. અર્પિતાને ડર છે કે જો તે પૈસા ઉપાડી લેશે તો તેને વ્યાજનું નુકસાન થશે. પીએફ ખાતામાં ક્યારે અને કેવી રીતે વ્યાજ ઉમેરવામાં આવે છે, વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે? ચાલો સમજીએ-
પ્રાઇવેટ સેક્ટરની જે કંપનીઓમાં 20થી વધુ કર્મચારીઓ છે, તેમાં PF કાપવામાં આવે છે. કર્મચારીની બેઝિક સેલેરીના 12 ટકા પીએફ ખાતામાં જમા થાય છે. કંપની દ્વારા પણ એટલી જ રકમ જમા કરવામાં આવે છે પરંતુ કંપનીના 12 ટકા હિસ્સામાંથી 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમમાં જાય છે. બાકીના 3.66 ટકા કર્મચારીના પીએફ ખાતામાં જાય છે. સપ્ટેમ્બર 2014 પછી નોકરીમાં જોડાયા હોય એવા કર્મચારી જેની બેઝિક સેલેરી 15,000 રૂપિયાથી વધુ છે તે પેન્શન સ્કીમમાં નથી આવતા. અગાઉના કર્મચારીઓને સંપૂર્ણ બેઝિક સેલેરી પર પેન્શનમાં યોગદાનનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
જો અર્પિતાનો મૂળ પગાર 50,000 રૂપિયા છે, તો 12 ટકાના દરે 6,000 રૂપિયા તેના પીએફમાં જશે. કંપનીનું કોન્ટ્રીબ્યૂશન પણ 6,000 રૂપિયાનું હશે… પેન્શન ફંડમાં અર્પિતાનું કોન્ટ્રીબ્યૂશન 15,000ની બેઝિક સેલેરી પર કપાઇ રહ્યું છે. આવી સ્થિતિમાં 8.33 ટકાના દરે 1,250 રૂપિયા પેન્શન ખાતામાં જશે. એટલે કે કુલ યોગદાન થયું 12,000 રૂપિયા. જેમાંથી 1,250 રૂપિયા પેન્શનમાં જશે અને 10,750 રૂપિયા પીએફમાં ઉમેરાશે. જો અર્પિતા કોસ્ટ ટુ કંપની એટલે કે CTC પર જોબ કરી રહી છે, તો બંને બાજુનું કોન્ટ્રીબ્યૂશન તેના ખાતામાંથી કાપવામાં આવશે. જો કે પીએફ ખાતામાં દર મહિને 10,750 રૂપિયા જમા થશે.
હવે એ જાણી લઇએ કે વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે… કર્મચારીઓના પીએફ ખાતામાં દર મહિને પૈસા જમા થાય છે, તેથી વ્યાજની ગણતરી પણ દર મહિને કરવામાં આવે છે. વ્યાજની ગણતરી પીએફ ખાતામાં મહિનાની શરૂઆતમાં રહેલા ઓપનિંગ બેલેન્સ પર કરવામાં આવે છે. માસિક વ્યાજની ગણતરી વાર્ષિક વ્યાજને 12 વડે ભાગીને કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, 1 સપ્ટેમ્બર, 2022 ના રોજ અર્પિતાના પીએફ ખાતામાં 4,00,000 રૂપિયા જમા હતા અને નાણાકીય વર્ષ 2022-23 માટે પીએફ પર વ્યાજ દર 8.15 ટકા છે. સાદા વ્યાજની ફોર્મ્યૂલા છે- મુદ્દલ × વ્યાજ દર × સમય / 100. આ રીતે સપ્ટેમ્બરનું વ્યાજ 2,717 રૂપિયા થશે. સપ્ટેમ્બરમાં જ અર્પિતાના ખાતામાં વધુ 10,750 રૂપિયા જમા થઇ જશે. સપ્ટેમ્બરમાં તેમને આ રકમ પર વ્યાજ નહીં મળે. આવતા મહિને એટલે કે ઓક્ટોબર 2023થી વ્યાજની ગણતરી 4,10,750 રૂપિયા પર થશે. આ રકમ પર તેને 2,790 રૂપિયાનું વ્યાજ મળશે.
પરંતુ દર મહિને વ્યાજની જે ગણતરી કરવામાં આવે છે તેને તમારા ખાતામાં દર મહિને નથી કરવામાં આવતું. દર મહિને આ વ્યાજ જમા થતું રહેશે…નાણાકીય વર્ષના અંત પછી એટલે કે 31મી માર્ચ પછી, આ વ્યાજ તમારા પીએફ ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારે આ વ્યાજ તમારા પીએફ બેલેન્સમાં ઉમેરાઇ જશે. પેન્શન ખાતામાં જમા થતી રકમ પર કોઈ વ્યાજ નથી મળતું.
અર્પિતાની જેમ મોટી સંખ્યામાં લોકોના પીફે ખાતામાં વર્ષ 2022-23નું વ્યાજ હજુ સુધી જમા નથી થયું. આવી સ્થિતિમાં અર્પિતા અત્યારે જો 2 લાખ રૂપિયા ઉપાડી લે તો શું થશે?
EPFOના જણાવ્યા અનુસાર, વ્યાજની ચુકવણીમાં વિલંબ થવાથી કર્મચારીને કોઈ નુકસાન થશે નહીં. નિયમો હેઠળ દર મહિને વ્યાજની ગણતરી ખાતામાં જમા રકમના હિસાબે કરવામાં આવશે. જો તમે તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડો છો, તો ઉપાડના દિવસ સુધીની પૂરી રકમ પર વ્યાજની ગણતરી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ પછી સપ્ટેમ્બર 2023 માં ખાતું બંધ કરી રહ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષનું વ્યાજ હજી નક્કી કરવામાં નથી આવ્યું તો આવી સ્થિતિમાં માત્ર ગયા વર્ષના દરના આધારે વ્યાજની ચૂકવણી કરીને ખાતું બંધ કરવામાં આવશે.
અર્પિતા તેની જરૂરિયાતો પૂરી કરવા માટે ગમે ત્યારે તેના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આનાથી તેને મળતા વ્યાજમાં તેને કોઈ નુકસાન થશે નહીં. પીએફ પર વ્યાજ દર મહિનાના ઓપનિંગ બેલેન્સના આધારે ગણવામાં આવે છે. જો વ્યાજ મેળવવામાં વિલંબ થાય છે, તો તેનાથી પણ તમને કોઈ નુકસાન થશે નહીં.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો