Money9 Gujarati:
પ્રોવિડન્ટ ફંડ કપાતો હશે તેમના માટે ખુશખબર છે. માર્ચ-2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે સરકારે 8.15 ટકા વ્યાજ દર પ્રમાણે પૈસા જમા કરવાની મંજૂરી આપી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2022-23 માટે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) એકાઉન્ટ માટે 8.15 ટકા વ્યાજ દરની મંજૂરી આપી છે. EPFOએ 24 જુલાઈએ એક સર્ક્યુલર દ્વારા EPF ખાતા માટેના વ્યાજ દરની જાહેરાત કરી છે. EPFOના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝ (CBT)એ 28 માર્ચે પ્રોવિડન્ટ ફંડ માટે 8.15 ટકા વ્યાજ દર નક્કી કર્યા હતા અને કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે તે મુજબ 2022-23 માટે EPF સ્કીમમાં 8.15 ટકા વ્યાજ જમા કરવાની મંજૂરી આપી છે.
કર્મચારી ભવિષ્ય નિધી સંગઠન (EPFO)એ નાણાકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધી (EPF) ખાતા પર મળતા વ્યાજ દરની જાહેરાત કરી દીધી છે. EPFOએ જણાવ્યું છે કે, 2022-23 માટે તમામ સભ્યોના ખાતામાં 8.15 ટકાના વ્યાજ દર પ્રમાણે રકમ જમા કરવામાં આવશે.
EPFOનો સર્ક્યુલરઃ https://www.epfindia.gov.in/site_docs/PDFs/Circulars/Y2023-2024/Declaration_Rateofinterest_INV_24072023.pdf
EPFOના સર્ક્યુલરમાં જણાવ્યા પ્રમાણે, “એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ સ્કીમ, 1952ના પેરા 60(1) હેઠળ વર્ષ 2022-23 માટે 8.15 ટકા વ્યાજ જમા કરવાની મંજૂરી મળી છે.” ઉલ્લેખનીય છે કે, કંપનીઓએ પગારદાર કર્મચારીઓ માટે એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડના નિયમનું ફરજિયાત પાલન કરવું જરૂરી છે. કર્મચારીના પગારમાંથી કપાતી પીએફની રકમ અને તેના જેટલી જ રકમ કંપનીએ EPF ખાતામાં જમા કરવી પડે છે. કર્મચારી તેના EPF ખાતામાં માસિક ધોરણે 12 ટકા હિસ્સો જમા કરાવે છે જ્યારે કંપની દ્વારા 3.68 ટકા હિસ્સો EPF ખાતામાં જમા થાય છે જ્યારે બાકીનો 8.33 ટકા હિસ્સો એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમ (EPS)માં જાય છે.
વ્યાજની રકમ ખાતામાં ક્યારે જમા થશે? આ જાહેરાત બાદ, કરોડો પીએફ ખાતાધારકોના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે, તેમના ખાતામાં વ્યાજના પૈસા ક્યારે જમા થશે? EPFOના 6 કરોડ ખાતાધારકોમાંથી મોટા ભાગનાં સભ્યો હજુ પણ નાણાકીય વર્ષ 2021-22ના વ્યાજની રાહ જોઈ રહ્યાં છે આથી, તેમના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, 2022-23 માટેનું વ્યાજ તેમના ખાતામાં ક્યારે જમા થશે?
24 જુલાઈએ જાહેર થયેલા સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2022-23 માટે જાહેર થયેલા વ્યાજ દર માટે પીએફ ખાતાધારકોના ખાતામાં વ્યાજની રકમ જમા કરાવતા પહેલાં વ્યાજ દરનું નોટિફિકેશન જાહેર કરવા માટે નાણા મંત્રાલય પાસેથી નોટિફાય કરાવવાની જરૂર નથી. આનો અર્થ એ થયો કે, લાંબા સમયથી વ્યાજની રકમની રાહ જોઈ રહેલાં કરોડો પીએફ ખાતાધારકોના ખાતામાં હવે વિના વિલંબે વ્યાજની રકમ જમા થઈ જશે. ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ પૂરું થયું તેને ચાર મહિના થઈ ગયા છે. નાણાકીય વર્ષ 2022-23નો અંત 31 માર્ચ-2023એ આવ્યો હતો, પરંતુ હજુ સુધી સભ્યોને વ્યાજની રકમ જમા થવા અંગે કોઈ સૂચના મળી નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો