Money9 Gujarati:
સરકારી સર્વેના આંકડા દર્શાવે છે કે, 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના સ્નાતકોમાં બેરોજગારીનો દર 2022-23માં ઘટીને 13.4 ટકા થયો છે, જે અગાઉના વર્ષે 14.9 ટકા હતો. દેશનાં સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન મંત્રાલય દ્વારા થયેલા તાજા Periodic Labour Force Survey (PLFS) અનુસાર, 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના ગ્રેજ્યુએટ્સમાં 2022-23માં સૌથી ઓછી બેરોજગારીનો દર ચંદીગઢમાં 5.6 ટકા થયો છે. ત્યારબાદ દિલ્હીમાં આ વયજૂથના ગ્રેજ્યુએટ્સમાં બેરોજગારીનો દર 5.7 ટકા રહ્યો છે.
બેરોજગારીનો સૌથી ઊંચો દર અંદામાન એન્ડ નિકોબારમાં 44 ટકા નોંધાયો છે. ત્યારબાદ લદ્દાખમાં 26.5 ટકા અને આંધ્ર પ્રદેશમાં 24 ટકાનો દર નોંધાયો છે. મોટા રાજ્યોની વાત કરીએ તો, રાજસ્થાનમાં બેરોજગારીનો દર 23.1 ટકા જ્યારે ઓડિશામાં 21.9 ટકા રહ્યો છે. સર્વેમાં જાહેર થયેલી વિગતો જુલાઈ 2022થી જૂન 2023 સુધીની છે.
લેબર ફૉર્સ (કામ કરનારા લોકો)માં બેરોજગાર વ્યક્તિની ટકાવારીના સ્વરૂપમાં બેરોજગારીનો દર કાઢવામાં આવે છે. લેબર ફોર્સની માહિતીનું મહત્ત્વ હોવાથી નેશનલ સેમ્પલ સર્વે ઑફ ઈન્ડિયા (NSSO) દ્વારા એપ્રિલ 2017માં પીરિઓડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ની શરૂઆત કરવામાં આવી હતી.
અગાઉ, જુલાઈ 2017-જૂન 2018, જુલાઈ 2018-જૂન 2019, જુલાઈ 2019-જૂન 2020, જુલાઈ 2020-જૂન 2021 અને જુલાઈ 2021-જૂન 2022 દરમિયાન PLFSમાં એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે પાંચ વાર્ષિક અહેવાલો જારી કરવામાં આવ્યા છે. હવે NSSOએ જુલાઈ, 2022-જૂન, 2023 દરમિયાન હાથ ધરાયેલા સામયિક લેબર ફોર્સ સર્વેના આધારે છઠ્ઠો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો