MONEY9: અનાજની મોંઘવારીને મહાત કરવા માટે સરકારે રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ વધાર્યાં છે. અપેક્ષા તો છે કે, ભાવ વધવાથી ખેડૂતોને ઘઉં સહિતના રવિ પાકનું વાવેતર કરવા માટે પ્રોત્સાહન મળશે, પરંતુ માર્કેટયાર્ડ્સમાં મોટા ભાગના રવિ પાકનો ભાવ, ટેકાના ભાવ કરતાં ઘણો વધારે છે. દેશભરનાં માર્કેટયાર્ડ્સમાં પાકની નવી આવક થવાના સમયે પણ ભાવ વચ્ચેનો આ તફાવત યથાવત્ રહેશે તો, સરકારને પોતાના ગોદામોમાં અનાજ ભરવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આંખે પાણી આવી જશે.
સરકારી ટેકાના ભાવ સરકારે 1 ક્વિન્ટલ ઘઉં માટે 2,125 રૂપિયાની મિનિમમ સપોર્ટ પ્રાઈસ એટલે કે, MSP જાહેર કરી છે, પરંતુ બજારમાં ઘઉંનો ભાવ પહેલાથી જ 2,300 રૂપિયા કરતાં વધારે ચાલી રહ્યો છે. સરસવ, મસૂર અને જવના સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પણ માર્કેટયાર્ડ્સમાં બોલાતા ભાવ કરતાં ઓછા છે.
ગયા વર્ષની સ્થિતિ સરકારે ગયા વર્ષે 1 ક્વિન્ટલ ઘઉં માટે જાહેર કરેલો ટેકાનો ભાવ 2,015 રૂપિયા હતો અને તે સમયે, મોટા ભાગનાં માર્કેટયાર્ડ્સમાં ઘઉંનો ભાવ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતાં ઓછો હતો, એટલે અપેક્ષા હતી કે, ખેડૂતો માર્કેટયાર્ડ્સમાં ઓછા ભાવે ઘઉં નહીં વેચે અને સરકારને ઊંચા ભાવે વેચાણ કરશે, પરંતુ ઘઉંનું ઉત્પાદન ઓછું થવાથી સરકારને ઘઉંની ખરીદીમાં ધારી સફળતા નહોતી મળી.
2020માં વિક્રમ ખરીદી વર્ષ 2020માં સરકારે ઘઉં માટે ટેકાનો ભાવ 1,975 રૂપિયા નક્કી કર્યો હતો અને તેની જાહેરાત વખતે, મોટા ભાગનાં માર્કેટયાર્ડ્સમાં ચાલતો ભાવ, સરકારના ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો હતો. આથી, જ્યારે નવા પાકની આવક થઈ તો તે સમયે માર્કેટયાર્ડમાં ઓછો ભાવ મળતો હોવાથી ખેડૂતોએ મહત્તમ પાક સરકારને ટેકાના ભાવે વેચ્યો હતો. ખેડૂતોએ મહત્તમ ઘઉં વેચ્યા હોવાથી સરકારની ઘઉંની ખરીદી 433 લાખ ટનના વિક્રમ સ્તરે પહોંચી ગઈ હતી.
2022માં વિપરિત સ્થિતિ પરંતુ, ચાલુ વર્ષની સ્થિતિ વિપરિત છે. ચાલુ વર્ષે માર્કેટયાર્ડ્સમાં બોલાતો ભાવ સરકારી ટેકાના ભાવ કરતાં ઘણો વધારે છે. ઓછામાં પૂરું ઘઉંનું ઉત્પાદન ઓછું થયું છે અને ડિમાન્ડ-સપ્લાયની સ્થિતિને જોતાં તો લાગે છે કે, નવી આવક થશે તે સમયે પણ માર્કેટયાર્ડ્સના ભાવ વધારે જ રહેશે. જો આવું થશે તો, ખેડૂતો સરકારને ઘઉં વેચવા કરતા બજારમાં વેચવાનું પસંદ કરશે, પરિણામે, સરકારના ગોદામો ખાલીખમ પડ્યા રહેશે.
ગોદામો ખાલીખમ અત્યારે સરકારી ગોદામોમાં ઘઉંનો સ્ટૉક તો 14 વર્ષના તળિયે પહોંચી ગયો છે જ્યારે કુલ અનાજનો જથ્થો છેલ્લાં 5 વર્ષના તળિયે પહોંચ્યો છે. ઘઉંના મોરચે નિરાશા છે, તો વળી ચોખાના મોરચે પણ ખુશ થવા જેવું નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ચોખાનું ઓછું ઉત્પાદન થવાનો અંદાજ છે. સરકારે ફ્રી રાશન સ્કીમ પણ ડિસેમ્બર સુધી લંબાવી છે, એટલે કે અનાજની માંગ વધારે છે અને સપ્લાય ઓછો છે.
ડિમાન્ડ-સપ્લાયનું ગણિત વૈશ્વિક સ્તરે પણ અનાજનો સપ્લાય ઘટ્યો છે. દુનિયાના બજારોમાં ઘઉંનો 25 ટકા હિસ્સો રશિયા અને યુક્રેન દ્વારા ઠલવાતો હતો, પરંતુ આ બંને દેશ તો યુદ્ધ કરી રહ્યાં છે, એટલે વૈશ્વિક માર્કેટમાં ઘઉંનો સપ્લાય ઘટ્યો છે. આમ, સપ્લાય કરતાં ડિમાન્ડનું પલડું ભારે હોવાથી, ઘઉંની કિંમત વિક્રમ ઊંચાઈએ પહોંચી ગઈ છે. તેની સામે સરકારે વધારેલી મિનિમમ સપોર્ટ પ્રાઈસ પણ ઓછી છે. આથી અનાજના ગોદામો ભરવા માટે સરકાર એડી, ચોટીનું જોર લગાવશે, તોપણ ગોદામો ખાલી રહેવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો