Money9 Gujarati:
ભારતમાં અત્યંત ગરીબી (Extreme poverty) સતત બે વર્ષ સુધી વધ્યા બાદ હવે ઘટી છે. વર્લ્ડ બેંકના તાજા આંકડા અનુસાર, વર્ષ 2021 દરમિયાન ભારતમાં અત્યંત ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા 3.8 કરોડ ઘટીને 16.74 કરોડ થઈ છે. જોકે, વર્લ્ડ બેંકે જણાવ્યું છે કે અત્યંત ગરીબોની આ સંખ્યા હજુ પણ વર્ષ 2018ના સ્તરથી ઉપર છે.
કોવિડ-19 મહામારીને કારણે સમગ્ર દુનિયાના અર્થતંત્રોની સાથે સાથે ભારત જેવા વિકાસશીલ દેશોને ગંભીર ફટકો પહોંચ્યો હતો. કોવિડ બાદ ઘણા દેશો વધારે ગરીબ બની ગયા હતા અને ગરીબીનું પ્રમાણ વધી ગયું હતું. મહામારીને કારણે વર્ષ 2020માં લગભગ 5.6 કરોડ ભારતીયો અત્યંત ગરીબ બની ગયા હતા, પરંતુ વર્ષ 2021માં અત્યંત ગરીબોની સંખ્યા ઘટી છે. આ સંખ્યામાં 3.8 કરોડનો ઘટાડો થયો છે અને હવે 16.74 કરોડ લોકો અત્યંત ગરીબ છે.
અગાઉ વર્લ્ડ બેન્કે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં લગભગ 5.6 કરોડ ભારતીય અત્યંત ગરીબ બન્યા હતા, જેના લીધે વૈશ્વિક સ્તરે ગરીબોની સંખ્યામાં 7.1 કરોડનો વધારો થયો હતો. 2020નું વર્ષ બીજા વિશ્વયુદ્ધ પછીનું ગરીબીમાં ઘટાડાનું સૌથી ખરાબ વર્ષ બની ગયું.
આંકડા દર્શાવે છે કે, ભારતમાં ગરીબોની સંખ્યા 2018માં 15.17 કરોડથી 2019માં 17.69 કરોડ થઈ ગઈ હતી. કોરોના મહામારી આવી તેની પહેલાં ગરીબોની સંખ્યા 2018માં સૌથી ઓછી હતી. 2021માં ભારતમાં ગરીબીનો દર 11.9 ટકા હતો, જે 2018માં 11.09 ટકાથી વધારે હતો. જોકે, 2020માં ગરીબીનો દર 14.72 ટકાએ પહોંચ્યો હતો.
વર્લ્ડ બેન્કના જણાવ્યા પ્રમાણે, દૈનિક 2.15 ડૉલર ખર્ચ કરવાની ક્ષમતા ધરાવતા લોકોને અત્યંત ગરીબ માનવામાં આવે છે. વર્લ્ડ બેન્કે વર્ષ 2011-12માં ભારતમાં ગરીબીનો અંદાજ કાઢવા માટે સેન્ટર ફૉર મૉનીટરિંગ ઈન્ડિયન ઈકૉનોમી (CMIE)ના કન્ઝ્યુમર પિરામિડ હોમ સર્વે (CPHS)ના આંકડાનો ઉપયોગ કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો