Money9 Gujarati:
Agri exports: ભારતની કૃષિ નિકાસમાં ઘટાડો થયો છે. એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 દરમિયાન ભારતની એગ્રીકલ્ચર એક્સપોર્ટ 8.8 ટકા ઘટીને 43.7 અબજ ડૉલર થઈ છે. લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે. નાણાકીય વર્ષ 2022-23ના એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન ભારતની કૃષિ નિકાસનો આંકડો 47.9 અબજ ડૉલર નોંધાયો હતો. 2022-23માં ભારતનો એગ્રીકલ્ચરલ GDP 4.7 ટકા હતો, જેમાં 2023-24માં નોંધપાત્ર ઘટાડો થયો હતો એને તે માત્ર 0.7 ટકાના દરે વધ્યો હતો.
વાણિજ્ય મંત્રાલયના સત્તાવાર આંકડા દર્શાવે છે કે, ગયા નાણાકીય વર્ષના 11 મહિનામાં (એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024) APEDAમાં સામેલ 719 શિડ્યુઅલ્ડ એગ્રી પ્રોડક્ટ્સની નિકાસ 6.85 ટકા ઘટીને 22.4 અબજ ડૉલર થઈ હતી, જે એપ્રિલ 2022થી ફેબ્રુઆરી 2023 દરમિયાન 24 અબજ ડૉલર હતી. સરકારી અધિકારીના જણાવ્યા પ્રમાણે, ચોખા, ઘઉં, ખાંડ અને ડુંગળ જેવી એગ્રી કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ અને આકરા નિયમો લાગુ થવાને કારણે ગયા નાણાકીય વર્ષમાં કૃષિ નિકાસમાં 5-6 અબજ ડૉલરની અસર પડી હતી.
જોકે, APEDAમાં સામેલ 24 મુખ્ય કોમોડિટીઝમાંથી 17 કોમોડિટીની નિકાસમાં વૃદ્ધિ થઈ હતી. આ કોમોડિટીમાં તાજા ફળ, પ્રોસેસ્ડ વેજીટેબલ્સ, બાસમતી રાઈસ, કેળા અને ભેંસના માંસનો સમાવેશ થાય છે. બાસમતી રાઈસની નિકાસમાં 22 ટકાનો વધારો નોંધાયો છે. તેની નિકાસ એપ્રિલ-ફેબ્રુઆરી 2022-23માં 4.2 અબજ ડૉલર હતી, જે એપ્રિલ-ફેબ્રુઆરી 2023-24માં 5.2 અબજ ડૉલર થઈ હતી.
સરકારી અધિકારીએ એમ પણ કહ્યું કે નિકાસ પર ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની કોઈ દેખીતી અસર જોવા મળી નથી કારણ કે તે એક વિકસતી પરિસ્થિતિ છે, “પરંતુ અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ.” અધિકારીએ જણાવ્યું હતું કે ભારતના આલ્કોહોલિક પીણાંની નિકાસમાં ગયા નાણાકીય વર્ષમાં ઉચ્ચ સ્તરની ભારતીય બ્રાન્ડ્સના શિપમેન્ટમાં સારી વૃદ્ધિની નોંધ લેવામાં આવી છે. વિશ્વએ 2022માં 113.66 અબજ ડૉલરના આલ્કોહોલિક પીણાંની આયાત કરી છે. 2022માં ભારતની નિકાસ 18 કરોડ ડૉલર રહી હતી. આલ્કોહોલિક પીણાંની વૈશ્વિક નિકાસમાં ભારત અત્યારે 40મા ક્રમે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો