Money9: વર્ષ ૨૦૨૪માં ૧૯ એપ્રિલ સુધીના સમયગાળામાં શેરબજારમાં રિટર્ન આપવાની દ્રષ્ટિએ ખાનગી બેંકોની તુલનાએ જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરી ઘણી સારી રહી છે. આ સમયગાળામાં મોટા ભાગની ખાનગી બેંકોએ નેગેટિવ રિટર્ન આપ્યું છે ત્યારે પીએસબીએ ૧૧ ટકાથી ૪૧ ટકા સુધીનું રિટર્ન આપ્યું છે. સમીક્ષા હેઠળના ગાળામાં નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ ૨૧.૩૫ ટકા વધ્યો છે, જ્યારે પાઈવેટ બેંક ઈન્ડેક્સમાં ૪.૩૪ ટકાનો ઘટાડો નોંધાયો છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સ સાથે તુલના કરીએ તો આ સમયગાળામાં નિફ્ટીમાં ૧.૯૧ ટકાનો વધારો નોંધાયો છે, જયારે નિફ્ટી બેંક ઈન્ડેક્સ ૧.૪૯ ટકા ઘટયો છે. સેબીના નિયમ મુજબ કોઇ પણ કંપનીનું લિસ્ટિંગ થાય તે પછીના ત્રણ વર્ષના સમયગાળામાં તે કંપનીમાં પબ્લિક શેરહોલ્ડિંગ ઓછામાં ઓછું ૨૫ ટકા હોવું અનિવાર્ય છે. આથી સરકારને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસિઝ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુકો બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં લઘુમતી હિસ્સાનું વેચાણ કરવું પડશે.
એક રિપોર્ટ અનુસાર ભારતીયોમાં પ્રવાસ કરવાનું વલણ વધ્યું છે અને તેમાં પણ અયોધ્યા, ઉજ્જૈન અને બદ્રીનાથ જેવા અધ્યાત્મિક સ્થળો માટેના સર્ચમાં મોટાપાયે વધારો થયો છે. મેકમાયટ્રિપ ઇન્ડિયા ટ્રાવેલ ટ્રેન્ડ્સના રિપોર્ટ અનુસાર તેના વાર્ષિક 10 કરોડથી વધુ યૂઝર્સના બિહેવિયરના આધારે માલૂમ પડ્યું છે કે 2019થી વર્ષની ત્રણ ટ્રિપ કરનારા લોકોની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. ખાસ કરીને અધ્યાત્મિક પ્રવાસનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે. 2021ની સરખામણીમાં 2023માં અધ્યાત્મિક સ્થળો માટેના સર્ચમાં 97 ટકાનો વધારો થયો છે. ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં ધાર્મિક સ્થળોના સર્ચમાં મોટાપાયે વધારો જોવા મળ્યો છે. અયોધ્યા માટે સર્ચમાં 2022ની સરખામણીમાં 2023માં 585 ટકાનો ઉછાળો આવી ગયો છે. એ જ રીતે ઉજ્જૈન માટે સર્ચમાં 359 ટકાનો અને બદ્રીનાથ માટે 343 ટકાનો વધારો જોવા મળ્યો છે.
દેશમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ભારતીય હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુમાં આગામી પાંચ દિવસ સુધી આકરી હીટવેવ ચાલી શકે છે. મોસમ વિભાગે બિહાર સહિત છ જેટલા દરિયાઈ રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, કેરળ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ગરમી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશના વિવિધ ભાગોમાં ચારથી આઠ દિવસ હીટવેવના દિવસોની આગાહી કરાઈ છે. એપ્રિલથી જૂનના ગાળામાં સામાન્યપણે ચારથી આઠ દિવસની હીટવેવ હોય છે, ત્યારે આ વખતે 10થી 20 દિવસની ચેતવણી અપાઇ છે. હીટવેવના વધુ દિવસો હોય તેવા રાજ્યોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, બિહાર અને ઝારખંડ અને મરાઠવાડાનો સમાવેશ થાય છે.
સમય કરતા મોડી પણ નવસારી APMC માં કેરીની આવક શરૂ થઈ છે. પ્રતિ મણ કેરીના સારા ભાવો પણ મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. જો કે નહિવત આવક સાથે જ ફળની સાઈઝ નાની આવી રહી છે. જેથી વેપારીઓ થોડા નિરાશ પણ થયા છે. બીજી તરફ કેરીની આવક પણ ગત વર્ષો કરતા 10 ટકા જ આવી રહી છે. ગત વર્ષે આ દિવસોમાં ૫ હજાર મણ આસપાસ આવક હતી. પરંતુ આ હાલમાં ફક્ત 300થી 500 મણ કેરીની આવક થઇ રહી છે. જેમાં ખેડૂતોને હાલ કેસર કેરીનો પ્રતિ મણ ભાવ 1700 થી 2200 રૂપિયા મળી રહ્યો છે. જોકે 10 દિવસ બાદ કેરીની આવકમાં વધારો થાય એવી શકયતા પણ સેવાઈ રહી છે.
એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એટલે કે AMCએ વર્ષ 2023-24માં 185 NFO મારફતે 66,364 કરોડ રૂપિયા ઊભા કર્યા છે. અગાઉના વર્ષની સરખામણીમાં તેમાં 6.5 ટકાનો વધારો થયો છે. રિટેલ રોકાણકારોનો ઈક્વિટી તરફ રસ વધવાથી મ્યુચ્યુઅલ ફંડ્સે એનએફઓ મારફતે નોંધપાત્ર ફંડ મેળવ્યું છે. 2022-23માં ફંડોએ 253 એનએફઓ મારફતે ₹62,342 કરોડ મેળવ્યા હતા. ફાયર્સના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી-માર્ચ 2024ના ગાળામાં સૌથી વધુ 63 એનએફઓ આવ્યા હતા જેના મારફતે ₹22,683 કરોડ મેળવાયા હતા. ત્યાર પછીના ક્રમે ઓક્ટોબર- ડિસેમ્બર ક્વાર્ટરમાં 49 એનએફઓ આવ્યા હતા, જેના મારફતે ₹16,093 કરોડ મેળવાયા હતા.
યસ બેંક અને ICICI બેંક પછી, IDFC ફર્સ્ટ બેંક પણ 1 મે, 2024 થી નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. 1 મેથી IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા યુટિલિટી બિલની ચૂકવણીનો ખર્ચ વધી જશે. એટલે કે બેંક કેટલાક ટ્રાન્ઝેક્શન પર સરચાર્જ લગાવવા જઈ રહી છે. બેંકના આ નિર્ણયની સૌથી વધુ અસર તમારા યુટિલિટી બિલ પેમેન્ટ પર પડશે. તેનાથી ટેલીકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રિસિટી, ગેસ, વીજળી, ઈન્ટરનેટ સર્વિસ, કેબલ સર્વિસ, પાણીના બિલ વગેરેને અસર થઈ શકે છે જેમાં મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શન થાય છે. જો કે, આ ફર્સ્ટ પ્રાઇવેટ ક્રેડિટ કાર્ડ, LIC ક્લાસિક ક્રેડિટ કાર્ડ અને LIC સિલેક્ટ ક્રેડિટ કાર્ડ જેવા કાર્ડ્સ પર તે લાગુ નહીં થાય.
ટોયોટા કિર્લોસ્કર મોટરે ભારતમાં તેની સૌથી લોકપ્રિય SUV ટોયોટા ફોર્ચ્યુનરની લીડર એડિશન રિવીલ કરી છે. જાપાની કાર મેકરે ફોર્ચ્યુનરના લીડર એડિશનને રેગ્યુલર મોડલની સરખામણીમાં કોસ્મેટિક ચેન્જિસ અને કેટલીક નવા ફિચર્સની સાથે રજૂ કરી છે. ટોયોટા ફોર્ચ્યુનરની લીડર એડિશન તેના 4×2 મોડલ પર આધારિત છે અને તે વાયરલેસ ચાર્જર, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ઓટો-ફોલ્ડિંગ મિરર્સ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. કંપનીએ તેનું બુકિંગ શરૂ કરી દીધું છે…બાયર્સ તેને ઓફિશિયલ વેબસાઇટ અથવા ડીલરશીપ પર જઇને બુક કરી શકે છે. કંપનીએ હજુ સુધી નવા એડિશનની કિંમતનો ખુલાસો નથી કર્યો. ફોર્ચ્યુનર 4×2ના રેગ્યુલર મોડલની એક્સ-શોરૂમ કિંમત રૂ. 36 લાખથી રૂ. 38.25 લાખની વચ્ચે છે. નવા ફિચર એડ કર્યા બાદ ફોર્ચ્યુનર લીડર એડિશનની કિંમત આના કરતા વધારે હોઈ શકે છે. સેગમેન્ટમાં તેનો મુકાબલો MG Gloster સાથે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો