Money9 Gujarati:
Emergency Fund એટલે કે, ઓચિંતી જરૂર પડે ત્યારે ફટ દઈને કામમાં આવે તેવું ભંડોળ. પ્રત્યેક વ્યક્તિ પાસે આવું ભંડોળ હોવું જરૂરી છે. ઈમર્જન્સી ફંડ કેટલું મહત્ત્વનું છે, તે કોરોનામાં ભલભલાને સમજાઈ ગયું હતું. જો તમે કારકિર્દીની શરૂઆત કરી રહ્યાં હોવ તો સૌથી પહેલાં ઈમર્જન્સી ફંડ બનાવવાનું કામ શરૂ કરવું જોઈએ.
હવે સવાલ એ થાય કે, આ ઈમર્જન્સી ફંડ કેટલું મોટું હોવું જોઈએ? તેમાં કેટલા પૈસા હોવા જોઈએ? તેના માટે શું કરવું જોઈએ? કયા વિકલ્પમાં પૈસા રોકવા જોઈએ? આ તમામ સવાલોના જવાબ જાણીએ….
ઈમર્જન્સી ફંડ શું છે?
ઈમર્જન્સીમાં કામમાં આવે તેવા ફંડને ઈમર્જન્સી ફંડ કહે છે. ધારો કે, તમારી નોકરી જતી રહે, અથવા બિઝનેસમાં મોટી ખોટ જાય અથવા ઘર-પરિવારમાં કોઈને અકસ્માત થઈ જાય કે પછી પરિવારમાં કમાતી વ્યક્તિની કમાણી પર બ્રેક વાગી જાય તો આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારા કામમાં આવે તેવા ફંડને ઈમર્જન્સી ફંડ કહેવાય.
તમને અચાનક પૈસાની જરૂર પડે અને તમને તાત્કાલિક પૈસા મળી જાય તેવી રીતે ઈમર્જન્સી ફંડ બનાવવું જોઈએ. ધારો કે, અચાનક તમને 15,000 રૂપિયાની જરૂર પડે તો તમે ATMમાં જઈને પૈસા ઉપાડી શકો તેવી લિક્વિડિટી હોવી જોઈએ. એટલે કે, ઈમર્જન્સી ફંડ બને તેટલું લિક્વિડ હોવું જરૂરી છે.
કેટલું હોવું જોઈએ ઈમર્જન્સી ફંડ?
પર્સનલ ફાયનાન્સ એક્સપર્ટ કહે છે કે, ઓછામાં ઓછા 6 મહિનાનો બેઝિક ખર્ચો નીકળે તેટલું ઈમર્જન્સી ફંડ હોવું જોઈએ. તમે 12 મહિનાનો ખર્ચો નીકળે તેટલું ફંડ પણ રાખી શકો છો. ધારો કે, તમારો એક મહિનાનો બેઝિક ખર્ચ 25,000 રૂપિયા છે, તો તમારા ઈમર્જન્સી ફંડમાં ઓછામાં 1.50 લાખ રૂપિયા હોવા જોઈએ. તમે ધીમે-ધીમે ઈમર્જન્સી ફંડનું કદ વધારી શકો છો. જેમ-જેમ તમારો બેઝિક ખર્ચો વધતો જાય તે મુજબ ઈમર્જન્સી ફંડમાં પણ વધારો થવો જરૂરી છે.
ધારો કે, તમે 25 વર્ષના છો અને નોકરીની શરૂઆત કરી રહ્યાં છો, તો તમારો ખર્ચ ઘણો ઓછો હશે. પરંતુ જો તમારી ઉંમર 35 વર્ષ હોય અને તમે હોમ લોનના હપ્તા ભરતા હોવ, બાળકને ભણાવતા હોવ, તો તમારો બેઝિક ખર્ચ ઘણો વધારે હશે. એટલે તમારે પોતાના બેઝિક ખર્ચને ધ્યાનમાં રાખીને ઈમર્જન્સી ફંડમાં વધારો કરવો જોઈએ.
ઈમર્જન્સી ફંડ બનાવતી વખતે તમારે ટેક્સ બેનિફિટ અને વળતર જેવી બાબતોને કોરાણે મૂકી દેવી જોઈએ. આ ફંડનો ઉદ્દેશ્ય જરૂર પડે ત્યારે તાત્કાલિક કામમાં આવે તેવું ફંડ તૈયાર કરવાનો છે. આ ફંડ તૈયાર કરવા માટે તમે વિવિધ વિકલ્પો પસંદ કરી શકો છો. તમે બચત ખાતામાં પૈસા રાખી શકો, FDમાં પૈસા મૂકી શકો, રિકરિંગ ડિપોઝિટ કરાવી શકો, મ્યુચ્યુઅલ ફંડ્સમાં પૈસા મૂકી શકો છો. કોઈ પણ વિકલ્પ પસંદ કરતા પહેલાં તમારે માત્ર લિક્વિડિટીને ધ્યાનમાં રાખવાની છે.
સેવિંગ બેન્ક ખાતામાં પૈસા મૂકવાથી તમે જરૂર પડે ત્યારે સરળતાથી પૈસા ઉપાડી શકો છો. આ વિકલ્પ લિક્વિડિટીની બાબતમાં સૌથી બેસ્ટ છે. હવે તો ઓનલાઈનનો જમાનો છે, એટલે તમારે બેન્કની બ્રાન્ચમાં કે ATMમાં પૈસા ઉપાડવા જવાની પણ જરૂર નથી.
ઈમર્જન્સી ફંડ માટે અલગથી સેવિંગ એકાઉન્ટ ખોલાવવું હિતાવહ છે, કારણ કે, જે ખાતામાંથી તમારા રોજિંદા ખર્ચાની વ્યવસ્થા થતી હોય તેમાં ઈમર્જન્સી ફંડના પૈસા ના રાખવા જોઈએ.
જે ખાતામાં તમારો પગાર જમા થતો હોય તેમાં પણ ઈમર્જન્સી ફંડના પૈસા ના રાખવા જોઈએ. ઈમર્જન્સી ફંડ માટે એક અલગ ખાતુ ખોલાવવાની સલાહ નિષ્ણાતો આપે છે.
ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા મૂકવાથી તમારા પૈસા પર વ્યાજ પણ કમાવવા મળશે અને જરૂર પડે ત્યારે FD તોડાવીને પૈસા ઉપાડી પણ શકો છો. સેવિંગ બેન્કમાં થોડા-ઘણા પૈસા મૂકી રાખવાની સાથે સાથે થોડાક પૈસાને FDમાં મૂકવા જોઈએ. તમે રિકરિંગ ડિપોઝિટ (RD) પણ કરી શકો છો.
જેમ-જેમ તમારી જવાબદારી વધતી જાય અને તમારું દેવું (loan) વધતું જાય ત્યારે ઈમર્જન્સી ફંડને આ વિકલ્પમાં રાખવું જોઈએ. સેવિંગ બેન્ક અને FDની સાથે લિક્વિડ ફંડ જેવા વિકલ્પ પસંદ કરીને તમારા ઈમર્જન્સી ફંડને ડાઈવર્સિફાય રાખવામાં સમજદારી છે. સેવિંગ બેન્ક એકાઉન્ટ કે FDમાંથી જેટલી સરળતાથી પૈસા મળે છે, તેટલી સરળતાથી પૈસા તો નહીં મળે પરંતુ ઈમર્જન્સી વખતે આ વિકલ્પમાં મૂકેલા પૈસા પણ કામમાં આવશે. આ ફંડ એક વધારાનો વિકલ્પ છે. તમે લિક્વિડ ફંડમાં પૈસા રોકશો તો રિટર્ન પણ મળશે અને પૈસાની જરૂર પડે તો બેથી ત્રણ દિવસમાં પૈસા મળી જશે.
નિષ્કર્ષઃ
ઈમર્જન્સી ફંડ માટે જણાવેલા આ વિકલ્પોમાં જોખમ લગભગ નહીંવત્ છે અને લિક્વિડિટી ભરપૂર છે. આ વિકલ્પમાં મૂકેલા પૈસા પર તમને થોડું-ઘણું વળતર પણ મળશે અને જરૂર પડે ત્યારે તાત્કાલિક કામમાં પણ આવશે. ધારો કે, તમારે 5 લાખ રૂપિયાના ઈમર્જન્સી ફંડની જરૂર હોય તો, તમે સેવિંગ ખાતામાં 1 લાખ રૂપિયા રાખી શકો છો. બાકીના 3 લાખ રૂપિયાની FD કરી શકો છો અને બાકીના 1 લાખ રૂપિયા લિક્વિડ ફંડમાં મૂકી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો