Money9 Gujarati:
ઈલેક્ટ્રોનિક સામાન (ખાસ તો સ્માર્ટફોન) અને સર્વિસિસ સેક્ટરની મજબૂત નિકાસને કારણે ચાલુ વર્ષે ભારતને કુલ વેપારનો વૃદ્ધિદર તીવ્રપણે ઘટતો અટકાવવામાં મદદ મળશે. વૈશ્વિક સ્તરે માંગ નબળી હોવાથી ચાલુ વર્ષે ભારતનાં વેપારમાં 2.6 ટકા ઘટાડો થવાનો અંદાજ છે. ચીન સહિતના દેશો ઘટતા વેપારનો સામનો કરી રહ્યાં છે અને તેમનો વેપાર 5 ટકાથી પણ વધુ ઘટવાનો અંદાજ છે ત્યારે ભારતનો કુલ વેપાર 2.6 ટકા ઘટી શકે છે, કારણ કે, ભારતમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને સર્વિસિસની નિકાસમાં વધારો થયો છે.
આર્થિક રિસર્ચ સંસ્થા ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવ (GTRI)ના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે પડકારો હોવા છતાં ચાલુ વર્ષે ભારતની માલસામાન અને સર્વિસિસની નિકાસ તથા આયાત 2022ના 1,651.9 અબજ ડૉલરની સરખામણીએ 2.6 ટકા ઘટીને 1,609 અબજ ડૉલર થવાની ધારણા છે.
GTRIના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વૈશ્વિક સ્તરે માલસામાનની નિકાસમાં (UNCTADના ગ્લોબલ ટ્રેડના અંદાજના આધારે) 5 ટકા ઘટાડો થવાનો અંદાજ છે. ઓછામાં પૂરું ચીનમાં જાન્યુઆરી-નવેમ્બર 2023 દરમિયાન નિકાસમાં 5.2 ટકા ઘટાડો થયો છે અને ભારતના વેપારમાં ઘટાડો પણ આ ગ્લોબલ ટ્રેન્ડને અનુરૂપ છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO)નો અંદાજ છે કે 2023માં માલસામાનનો વૈશ્વિક વેપાર વોલ્યુમની દ્રષ્ટિએ માત્ર 0.8 ટકા વધશે. વર્ષ 2023માં, જે ક્ષેત્રોમાં વૃદ્ધિની અપેક્ષા છે તેમાં ઉડ્ડયન ઇંધણ (ATF), મોટર ગેસોલિન, સ્માર્ટફોન, બાસમતી ચોખા, મધ્યમ કદની કાર, ટર્બો-જેટ્સ અને ઓટો કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. ચાલુ કેલેન્ડર વર્ષ દરમિયાન સ્માર્ટફોનની નિકાસ લગભગ 93 ટકા વધીને 14 અબજ ડૉલર થવાની ધારણા છે, જે 2022માં 7.2 અબજ ડૉલર હતી.
આમ, 2023માં સ્માર્ટફોનની નિકાસના જોરે ભારતને વેપારના મોરચે પડકારોનો સામનો કરવામાં નોંધપાત્ર મદદ મળી રહેશે. ભારતનાં વેપારમાં સ્માર્ટફોનનું યોગદાન મહત્ત્વના ટેકાનું કામ કરશે અને ભારતની ઈલેક્ટ્રોનિક્સની એકંદર નિકાસ વૃદ્ધિમાં સ્માર્ટફોનની વૃદ્ધિ સિંહફાળો આપશે. ભારતમાંથી થતી ઈલેક્ટ્ર્રોનિક્સની નિકાસ 26.2 ટકા વધીને 26.8 અબજ ડૉલર થવાનો અંદાજ છે. તેની સામે ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની આયાત 8 ટકાથી પણ વધુ વધીને 81 અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે.
જો કે, કમ્પ્યુટર, લેપટોપ અને અન્ય હાર્ડવેર જેવા ફિનિશ્ડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોની આયાત આ વર્ષે 10 ટકાથી વધુ ઘટી શકે છે. GTRIના કો-ફાઉન્ડર અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતના વેપારમાં એકંદરે ઘટાડો વૈશ્વિક માંગને કારણે થયો છે. ‘ભારત ધીમે ધીમે શ્રમ-સઘન ક્ષેત્રોમાં તેની સ્પર્ધાત્મકતા ગુમાવી રહ્યું છે.’
એપ્રિલ-નવેમ્બર 2023 દરમિયાન ભારતની માલસામાનની નિકાસમાં 30 મુખ્ય સેક્ટર્સમાંથી 14 સેક્ટર્સે પોઝિટિવ ગ્રોથ હાંસલ કર્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 8 મહિનામાં ઈલેક્ટ્રોનિક માલસામાનની નિકાસમાં સૌથી વધુ 23.56 ટકા વૃદ્ધિ નોંધાઈ છે જ્યારે સિરામિક પ્રોડક્ટ્સ અને ગ્લાસવેરની નિકાસ 20.9 ટકાના દરે અને ફળફળાદિ તથા શાકભાજીની નિકાસ 15.1 ટકાના દરે વધી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો