2023માં શેરબજારે રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા છે. તેજીની તકનો લાભ લેવા માટે આખાયે વર્ષમાં ઢગલાબંધ કંપનીઓના IPO આવ્યા છે. 2023માં 57 મેઈનબોર્ડ IPO આવ્યા અને કંપનીઓએ લગભગ 49,351.37 કરોડ રૂપિયા ભેગા કરી લીધા. અન્ય 27 કંપનીને 29 હજાર કરોડ રૂપિયાના IPO લાવવા માટે મંજૂરી પણ મળી ગઈ છે. એટલું જ નહીં, 34 હજાર કરોડ રૂપિયાના વધુ 29 IPO મંજૂરીની રાહ જોઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષમાં 2021 બાદ 2023માં આટલા બધા IPO આવ્યા છે. 2021માં 63 IPO આવ્યા હતા. 2010માં 64 IPO આવ્યા હતા.
ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન 8 ટકા ઘટીને 294.10 લાખ ગાંસડી રહેવાનો અંદાજ છે. 2023-24 સીઝન માટે કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયાએ આ અંદાજ આપ્યો છે. એસોસિએશને કપાસનું ઉત્પાદન કરતા 16 રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ ઉત્પાદનમાં 24.8 લાખ ગાંસડી ઘટાડો થવાનો અંદાજ જાહેર કર્યો હતો. એક ગાંસડી બરાબર 170 કિલો થાય. એસોસિએશને જણાવ્યું છે કે, ઉત્તરનાં રાજ્યોમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ નડી ગયો. ઓછામાં પૂરું 1 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધીના 45 દિવસ સુધી મધ્ય ભારત તથા દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદ ના પડ્યો. આ બંને કારણોને લીધે કપાસના ઉતારા ઓછા થવાની શક્યતા છે. અગાઉ 2022-23ની સીઝનમાં કપાસનું કુલ ઉત્પાદન 318.90 લાખ ગાંસડી નોંધાયું હતું. એક ગાંસડી બરાબર 170 કિલો થાય.
ખાદ્ય તેલની કિંમત ઘટવાની શક્યતા છે. સરકારે ખાદ્ય તેલની આયાત ડ્યૂટીમાં આપેલી રાહત એક વર્ષ માટે લંબાવી છે. જૂન 2023માં સરકારે ખાદ્ય તેલની આયાત પર લાગતી 17.5 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 12.5 ટકા કરી હતી. આ રાહત માર્ચ 2024માં પૂરી થવાની છે, પરંતુ સરકારે તેને છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. એટલે કે, ભારતની રિફાઈનિંગ કંપનીઓએ છેક માર્ચ 2025 સુધી ખાદ્ય તેલની આયાત માટે વધારે ડ્યૂટી નહીં ભરવી પડે. સરકારે જણાવ્યું છે કે, ક્રૂડ પામ ઓઈલ, ક્રૂડ સનફ્લાવર ઓઈલ અને ક્રૂડ સોયા ઓઈલની આયાત પર ઓછી જકાત લાગશે. ભારતમાં વેજીટેબલ ઓઈલની સૌથી વધુ આયાત થાય છે. ઓક્ટોબર 2022થી નવેમ્બર 2023માં ભારતની ખાદ્ય તેલની આયાત 24 ટકા વધીને 170 લાખ ટન રહેવાનો અંદાજ છે.
કોટક મહિન્દ્રા લાઈફ ઈન્સ્યૉરન્સ કંપનીએ નવો પ્લાન લૉન્ચ કર્યો છે. તેના પ્લાનનું નામ છે T.U.L.I.P. એટલે કે, ટર્મ એન્ડ યુનિટ-લિન્ક્ડ ઈન્સ્યૉરન્સ પ્લાન. આ એક યુનિટ-લિન્ક્ડ ટર્મ ઈન્સ્યૉરન્સ પ્લાન છે. આ પ્લાન ખરીદનાર વ્યક્તિને તેના વાર્ષિક પ્રીમિયમના 100 ગણું લાઈફ કવર મળશે. એટલું જ નહીં, ક્રિટિકલ ઈલનેસ અને એક્સિડેન્ટમાં મૃત્યુ સામે વધારાનું પ્રોટેક્શન કવર પણ મળશે. આ પ્લાન તમારા માટે યોગ્ય છે કે નહીં, તે નક્કી કરવા માટે તમારે આર્થિક સલાહકારની મદદ લેવી જોઈએ. કોઈ પણ ફાયનાન્સિયલ પ્રોડક્ટ ખરીદતા પહેલાં તેની પૂરેપૂરી માહિતી મેળવવી જોઈએ. વેલ્થ મેનેજર્સનું માનીએ તો, ઈન્સ્યૉરન્સ અને ઈન્વેસ્ટમેન્ટને ક્યારેય ભેગા ન કરવા જોઈએ. આ બંનેને અલગ-અલગ રાખવા જોઈએ. જો ઈન્સ્યૉરન્સ લેવાનો ઈરાદો હોય તો પ્યોર ટર્મ પ્લાન ખરીદવો જોઈએ. જો બચત અને રોકાણનો ઈરાદો હોય તો માર્કેટમાં ઘણા સારા વિકલ્પો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો