Money9 Gujarati:
દુકાનદારો અને રેસ્ટોરન્ટવાળા બિલ બનાવતી વખતે મોબાઈલ નંબર માગે તો, વિના સંકોચ ના પાડી દેજો. સરકારે જણાવ્યું છે કે, બિલ બનાવતી વખતે ગ્રાહક પાસે નંબર નહીં માંગી શકાય. ઘણી વખત લોકો નંબર આપવા ઈચ્છતા નથી, પરંતુ બિલ બનાવતી વખતે નંબર માંગવામાં આવે તો, તરત નંબર આપી દે છે. પરંતુ, હવે તમારે પોતાનો પર્સનલ નંબર આપવાની જરૂર નથી. ગ્રાહક બાબતોના મંત્રાલયે ગ્રાહકોની સલામતી વધારવા અને ઓનલાઈન ફ્રોડને અંકુશમાં લેવા માટે નંબર નહીં આપવાની સૂચના આપી છે. એટલે, દુકાનદાર તમને મોબાઈલ નંબર આપવા માટે દબાણ નહીં કરી શકે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ, ગ્રાહક પાસેથી મોબાઈલ નંબર માંગવો એ ગેરવાજબી છે.
ગ્રાહકોની ફરિયાદ વધીઃ
તાજેતરમાં જ વ્હોટ્સએપ અને કોલ દ્વારા કૌભાંડ થતા હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. મહત્તમ સાઈબર ક્રાઈમ મોબાઈલ ફોન અથવા વ્હોટ્સએપ મેસેજ દ્વારા થાય છે. સાઈબર ક્રાઈમ કરનારા લોકો મોબાઈલ નંબર મેળવીને યુઝરના એકાઉન્ટ્સ હેક કરી લે છે. તમારું એકાઉન્ટ હેક થઈ જાય એટલે તમારો તમામ પર્સનલ ડેટા ગુનેગારોના હાથમાં આવી જાય છે. ગ્રાહકોની સલામતી અને પ્રાઈવસી સચવાઈ રહે તે માટે સરકારે એડવાઈઝરી પણ જાહેર કરી છે. જો ગ્રાહકો મોબાઈલ નંબર આપે તો તેનો પર્સનલ ડેટા લીક થવાની બીક રહે છે તેમજ સ્પેમ કૉલ અને મેસેજ પણ પરેશાન કરવા લાગે છે. ઘણી વખત બોગસ કોલ અને મેસેજને કારણે ગ્રાહકોએ લાખો રૂપિયાનું નુકસાન પણ ભોગવવું પડે છે. આવા કિસ્સા વધવાથી ઘણા ગ્રાહકોએ સાયબર સેલમાં ફરિયાદોનો ખડકલો કરી દીધો છે.
સાઈબર એક્સપર્ટઃ
સાઈબર એક્સપર્ટ કામાક્ષી શર્મા કહે છે કે, સરકારે જાહેર કરેલી એડવાઈઝરીને કારણે, યુઝરને પોતાનો ડેટા પ્રોટેક્સ કરવાની સુવિધા મળશે. ગ્રાહકો ઘણી વખત, મોલમાં કે દુકાનોમાં પોતાના મોબાઈલ નંબર આપતા હોય છે. આવા સ્થળોએ આપણા નંબરના પ્રોટેક્શનની કોઈ વ્યવસ્થા હોતી નથી. આથી, આપણા નંબર સાઈબર ગુનેગારો પાસે સરળતાથી પહોંચી જાય છે. સાઈબર ગુનેગારો લકી ડ્રો કે અન્ય પેંતરા અજમાવીને લોકોના નંબર મેળવી લે છે અને આપણી અન્ય વિગતો પણ જાણી લે છે. આથી, લોકોએ પોતાની પર્સનલ ડિટેલ કોઈને પણ આપતા પહેલાં 100 વાર વિચાર કરવો અને બને ત્યાં સુધી નંબર, નામ, એડ્રેસ સહિતની વિગતો આપવાનું ટાળવું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો