Money9 Gujarati:
અદાણી ગ્રૂપ પર આરોપો લગાવતો રિપોર્ટ આવ્યા બાદ હવે ભારતના કેટલાક ઔદ્યોગિક જૂથો સામે પણ મોટા ખુલાસા ધરાવતો રિપોર્ટ જાહેર થવાના સંકેત મળી રહ્યાં છે. અમેરિકાની ફાયનાન્સ ફોરેન્સિક રિસર્ચ કંપની હિન્ડનબર્ગે 2023ના પ્રથમ મહિનાના અંતે અદાણી ગ્રૂપ સામે શેરની કિંમત સાથે ચેડાં કરવાનો તેમજ રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સહિતનાં આરોપો લગાવતો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આવો રિપોર્ટ ભારતનાં મોટા કોર્પોરેટ જૂથો સામે જાહેર કરવાની તૈયારી થઈ રહી હોવાનું માનવામાં આવે છે. હિન્ડનબર્ગ જેવા સંગઠને આ તૈયારી શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) દ્વારા ભારતની કેટલીક અગ્રણી કંપનીઓ અને તેમના માલિકો સામે ચોંકાવનારા ખુલાસા કરવાની તૈયારી થઈ રહી છે. OCCRPને અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન જ્યોર્જ સોરોસ તેમજ રૉકફેલર બ્રધર્સ ફંડ જેવી કંપનીઓનું પીઠબળ છે. વર્ષ 2006માં શરૂ થયેલું આ સંગઠન દુનિયાભરમાં થતાં ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમનું રિપોર્ટિંગ કરવામાં ફાવટ હોવાનો દાવો કરે છે. OCCRP દ્વારા અગ્રણી મીડિયા હાઉસ સાથે હાથ મિલાવીને રિપોર્ટ તેમજ આર્ટિકલ્સ પ્રકાશિત કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સનું આ સંગઠન ભારતનાં ઔદ્યોગિક પરિવારો સામે એક રિપોર્ટ બહાર પાડી શકે છે અથવા અનેક આર્ટિકલ્સ પ્રકાશિત કરી શકે છે. આ સંગઠનની રચના યુરોપ, આફ્રિકા, એશિયા તથા લેટિન અમેરિકામાં ફેલાયેલા 24 નોન-પ્રોફિટ ઈન્વેસ્ટિગેટિવ સેન્ટર્સ દ્વારા કરવામાં આવી છે.
OCCRPની વેબસાઈટ અનુસાર, જ્યૉર્જ સોરોસના યુનિટ ‘ઓપન સોસાયટી ફાઉન્ડેશન’ દ્વારા OCCRPને આર્થિક ટેકો આપવામાં આવે છે. સોરોસ એક મોટા પરોપરકારી વ્યક્તિ છે અને દુનિયાભરમાં પરિવર્તન લાવવા માટે આર્થિક મદદ કરવા માટે જાણીતા છે. OCCRPને ફોર્ડ ફાઉન્ડેશન, રૉકફેલર બ્રધર્સ ફંડ તેમ ઓક ફાઉન્ડેશનનો પણ ટેકો છે.
સૂત્રો જણાવે છે કે, ભારતનાં કોર્પોરેટ હાઉસ સામે જે આરોપો થશે તેમાં ફોરેન ફંડના ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. ભારતની કંપનીઓના શેર્સમાં ફોરેનના અજાણ્યા લોકો દ્વારા મોટા પાયે રોકાણ કરવામાં આવે છે અને શેરની કિંમતને ઊંચી રાખવા માટે વ્યવસ્થિત રીતે ગુનો આચરવામાં આવે છે, તેવા આરોપો થઈ શકે છે. અત્યારે આ કોર્પોરેટ હાઉસિસની ઓળખ થઈ શકી નથી. જો કોર્પોરેટ હાઉસિસ સામે આરોપો થશે અને તેમાં તથ્ય હશે તો શક્ય છે કે તેમના શેરમાં મોટા ગાબડાં પડી શકે છે. જેમકે, 24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગે અદાણી સામે આરોપો લગાવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓનાં શેર્સમાં 80 ટકા સુધીનો ઘટાડો થયો હતો. જોકે, અદાણીએ આરોપોને ફગાવી દીધા છે. પરંતુ રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો