Money9: ફિક્સ્ડ ડિપોઝિટને લઈને આજકાલ ઘણી આકર્ષક ઑફર્સ ચાલી રહી છે… બેંક FD પર તમે 8 ટકા સુધીનું રિટર્ન મેળવી શકો છો. આવી સ્થિતિમાં સેવિંગ્સ એકાઉન્ટના પૈસા ફિક્સ ડિપોઝિટમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. મોટી બેંકો સામાન્ય રીતે સેવિંગ એકાઉન્ટ એટલે કે બચત ખાતા પર નજીવું વ્યાજ આપે છે. હાલમાં ફુગાવાનો દર 5 ટકાની આસપાસ છે. આ હિસાબે તો બચત ખાતામાં પૈસા રાખીને તમે નુકસાન ઉઠાવો છો. જો કે, કેટલીક બેંકો એવી છે જે સેવિંગ એકાઉન્ટ પર મોંઘવારીને હરાવતુ અને લગભગ મોટી બેંકોના ફિકસ્ડ ડિપોઝિટ જેટલું વ્યાજ આપી રહી છે. તો આવો જાણીએ કે આ બેંકો કઇ છે અને કેટલું વ્યાજ આપી રહી છે.
નવા ગ્રાહકોની હોડમાં, નાની અને મધ્યમ કદની બેંકો વધુ કિંમત ચૂકવવા માટે તૈયાર છે… જૂની બેંકિંગ પ્રથાને તોડીને નાની બેંકોએ બચત ખાતાઓ પર ઉંચુ વ્યાજ ચૂકવવાનું શરૂ કર્યું છે. હકીકતમાં મોટી બેંકો સેવિંગ અને કરંટ એકાઉન્ટ એટલે કે CASAને ઓછી કિંમતે મૂડી એકત્રિત કરવા સાધન તરીકે ઉપયોગ કરે છે. નાની બેંકોએ આ ગણિતને બદલી નાખ્યું છે.
નાની અને મધ્યમ કદની બેંકોની વાત કરીએ તો, RBL બેંક 4.25 થી 7.50 ટકા, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક 3.50 થી 7.50 ટકા, IDFC ફર્સ્ટ બેંક 3 થી 7 ટકા, યસ બેંક 3.50 થી 7 ટકા અને બંધન બેંક 3 થી 7 ટકાની વચ્ચે બચત ખાતા પર વ્યાજ ઓફર કરે છે.
તો મોટી બેંકોના બચત ખાતાના વ્યાજ દરો નાની બેંકોની તુલનામાં ઘણા ઓછા છે… SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બચત ખાતા પર 2.70 થી 3 ટકા, પંજાબ નેશનલ બેંક એટલે કે PNB 2.70 થી 3 ટકા, બેંક બરોડા 2.75 થી 3.35 ટકા, HDFC બેંક 3 થી 3.50 ટકા જ્યારે ICICI બેંક 3 થી 3.50 ટકાની વચ્ચે વ્યાજ આપી રહી છે.
બેંકો વચ્ચે વધતી હરીફાઈનું પરિણામ છે કે નાની બેંકોના બચત ખાતાઓ પરનું વ્યાજ હવે 3 થી 7.50 ટકાની વચ્ચે છે..આ કેટલીક મોટી બેંકો દ્વારા ફિક્સ ડિપોઝીટ પર આપવામાં આવતા 3 થી 8 ટકાના રિટર્નની ખૂબ નજીક છે.
નાની બેંકોના બચત ખાતા પર વધુ વ્યાજ આપવાનું કારણ નવા ગ્રાહકોને આકર્ષવાનું છે. હકીકતમાં મોટી બેંકો લાંબા સમયથી બેંકિંગ બિઝનેસમાં છે. તેમનો કસ્ટમર બેઝ અને બેંકિંગ નેટવર્ક બંને વિશાળ છે. જ્યારે, નાની બેંકોને હજુ થોડા વર્ષો જ થયા છે. નાની બેંકો બેંકિંગ બિઝનેસમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. તેથી તે ટૂંકા ગાળામાં વધુ મૂડી એકત્રિત કરવા માટે વધુ ખર્ચ ઉઠાવવા તૈયાર છે.
નાની બેંકો ડિપોઝિટ પર વધુ વ્યાજ આપવાની ભરપાઇ લોનથી કરી રહી છે. નાની બેંકો નાની બેંકો જે વ્યાજ દરે લોન આપે છે તે મોટી બેંકો કરતા વધુ છે. નાની બેંકોનું ટાર્ગેટ સામાન્ય રીતે એવા ગ્રાહકો પર હોય છે, જેમને નાની લોનની જરૂર હોય છે અને મોટી બેંકો તેમને ટાર્ગેટ નથી કરતી હોતી.
બેંકોની વેબસાઇટ અનુસાર, નાની બેંક જેવી કે RBL બેંકના પર્સનલ લોનના વ્યાજ દરો 14 થી 23 ટકા, યસ બેંક 10.99 થી 20 ટકા જ્યારે IDFC ફર્સ્ટ બેંક 10.49 થી 36 ટકાની વચ્ચે પર્સનલ લોન ઓફર કરી રહી છે. તો બીજી બાજુ મોટી બેંક જેવી કે SBI 11.05 થી 14.05 ટકા, PNB 10.40 થી 16.95 ટકા અને ICICI બેંક 10.50 થી 16.00 ટકા પર પર્સનલ લોનની ઓફર કરી રહી છે. વ્યાજ દરો ક્રેડિટ સ્કોર સહિત અન્ય ફેકટર્સ પર આધાર રાખે છે એટલે લોન લેતી વખતે તેમાં વધ-ઘટ થઇ શકે છે.
આમ તો તમે સમજી ગયા હશો કે નાની બેંક સેવિંગ એકાઉન્ટ પર કેમ વધુ વ્યાજ આપી રહી છે. પરંતુ જો તમે સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવા માંગો છો તો નાની બેંક ફાયદાકારક રહેશે. સેવિંગ એકાઉન્ટમાં ફિકસ્ડ ડિપોઝિટની સરખામણીએ લિક્વિડિટી વધુ છે. જ્યારે ઇચ્છો ત્યારે પૈસા કાઢી શકો છો કે ટ્રાન્સફર કરાવી શકો છો. સરપ્લસ મની હોવાથી તેને ફિકસ્ડ ડિપોઝિટમાં રાખવા વધુ સારું. લોન લેવા માટે મોટી બેંકો યોગ્ય રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો