સરકારી બેન્કો સપ્તાહમાં માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહે તેવી શક્યતા છે. એટલું જ નહીં, સરકારી બેન્કોના કર્મચારીઓનો પગાર ઓછામાં ઓછો 15 ટકા વધી શકે છે. આ બંને નિયમ થોડાક દિવસોમાં લાગુ થવાની શક્યતા છે, કારણ કે, બેન્કોના વિવિધ યુનિયન અને ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. બંને પક્ષ સમજૂતી કરાર કરશે તો તેને અંતિમ મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવશે. જો મંત્રાલય પણ મંજૂરીની મહોર મારશે તો સરકારી બેન્કો સપ્તાહમાં માત્ર 5 દિવસ માટે ખુલ્લી રહેશે અને તેના કર્મચારીઓનો પગાર પણ 15થી 20 ટકા વધી જશે.
માત્ર 42 દિવસમાં 37 લાખથી પણ વધારે બાઈક, સ્કૂટર, કાર સહિતના વાહન વેચાઈ ગયા છે. 15 ઓક્ટોબરે પહેલા નોરતાથી દેવદિવાળી સુધી ચાલેલી તહેવારોની સીઝનમાં વાહનોનું ધૂમ વેચાણ થયું છે. આ 42 દિવસમાં 18.73 ટકા વૃદ્ધિ સાથે કુલ 37.93 લાખ વાહન વેચાયા છે.. ગયા વર્ષના તહેવારોમાં 31.95 લાખ વાહન વેચાયા હતા. આ વખતે 28.93 લાખ ટુ-વ્હીલર્સ, 1.42 લાખ થ્રી-વ્હીલર્સ, 1.23 લાખ કમર્શિયલ વ્હિકલ્સ, 5.47 લાખ પેસેન્જર વ્હીકલ્સ જ્યારે 86,572 ટ્રેક્ટર્સ વેચાયા છે. આમ, ઓટોમોબાઈલ્સ કંપનીઓને તહેવારોમાં જોરદાર ફાયદો થયો છે.
તુવેરની દાળ સસ્તી કરવા માટે સરકાર ખેડૂતો પાસેથી બજાર ભાવે સીધી ખરીદી વધારશે. લગભગ 8થી 10 લાખ મેટ્રિક ટન તુવેર દાળ ખરીદવાની સરકારની યોજના છે. તુવેર દાળ છેલ્લાં એક વર્ષમાં 40 ટકા મોંઘી થઈ છે. ગયા વર્ષે 112 રૂપિયે કિલો મળતી તુવેર દાળ અત્યારે 158 રૂપિયામાં મળે છે. તુવેર દાળની મોંઘવારીની સાથે અડદ, ચણા અને મગ પણ મોંઘા થવાથી દાળનો છૂટક ફુગાવો 18 ટકાથી પણ ઉપર છે. આ વખતે તુવેરનો વાવેતર વિસ્તાર 43.87 લાખ હેક્ટર નોંધાયો છે, જે ગયા વર્ષે 46 લાખ હેક્ટરથી પણ વધારે હતો. તુવેરની માંગને પહોંચી વળવા માટે ભારતે આફ્રિકા અને વિએતનામ જેવા દેશોમાંથી મોંઘા ભાવે આયાત કરવી પડે છે. આથી, સરકાર આયાત ઘટાડવા અને સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માટે ખરીદીમાં વધારો કરશે અને બજાર ભાવ ચૂકવશે.
ઈલેક્ટ્રોનિક માલસામાનની નિકાસ વધી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ભારતે ઈલેક્ટ્રોનિક આઈટમ્સની નિકાસમાં 27.7 ટકા વૃદ્ધિ નોંધાવી છે અને 15.5 અબજ ડૉલરનો માલ પરદેશ મોકલ્યો છે. સેમસંગ અને એપલ જેવી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરીને નિકાસ કરતી હોવાથી ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળ્યું છે. ભારતમાંથી થતી નિકાસની યાદીમાં ઈલેક્ટ્રોનિક્સ કેટેગરીનો ક્રમ ગયા વર્ષે અગિયારમો હતો, પરંતુ આ વખતે નિકાસ વધવાથી તે છઠ્ઠા નંબરે પહોંચી ગઈ છે.
દેશમાં અસુરક્ષિત Personal Loansના મૂલ્યમાં છેલ્લા 6 વર્ષમાં 4 ગણો વધારો જોવા મળ્યો છે….એક અહેવાલ અનુસાર, unsecured Personal Loansનું મૂલ્ય FY17માં સવા ચાર લાખ કરોડ રૂપિયા હતું જે વધીને FY23માં 13.3 લાખ કરોડ રૂપિયા છે. Care Ratingsના અંદાજ મુજબ આ સમયગાળા દરમિયાન એકંદર પર્સનલ લોનની સંખ્યા લગભગ 3 ગણી વધીને 51.7 લાખ કરોડ પર પહોંચી છે. પર્સનલ લોન લેનારા લોકોની સંખ્યામાં તીવ્ર વધારાને કારણે ગયા સપ્તાહે રિઝર્વ બેન્કે unsecured Personal Loanના રિસ્ક વેઇટમાં વધારો કર્યો હતો. પર્સનલ લોનના વ્યાજ દર 10 ટકાથી 24 ટકાની વચ્ચે હોય છે. પર્સનલ લોન એક મોંઘી લોન છે, અને બને ત્યાં સુધી આ લોન લેવાનું ટાળવું જોઈએ.
રાષ્ટ્રીય પેન્શન સ્કીમ એટલે કે NPSના નિયમોમાં ટૂંક સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. સિસ્ટમેટિક લિક્વિડિટી વિથડ્રોઅલ સુવિધા મારફતે NPS ખાતામાંથી ઉપાડની મર્યાદા 60 ટકાથી વધારીને 100 ટકા થઈ શકે છે. PFRDAના અધ્યક્ષ દીપક મોહંતીએ આવા સંકેત આપ્યા છે. PFRDAએ હાલમાં જ NPSના સભ્યો માટે સિસ્ટમેટિક લિક્વિડિટી વિથડ્રોઅલ સુવિધા શરૂ કરી છે. જે અંતર્ગત સભ્ય રિટાયરમેન્ટ અથવા 60 વર્ષની ઉમર બાદ મળનારી 60 ટકા મેચ્યોરિટી એમાઉન્ટને માસિક કે ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક ધોરણે ઉપાડી શકે છે. આ સુવિધા રિટાયરમેન્ટથી શરૂ થઇને 75 વર્ષની ઉંમર સુધી ઉપલબ્ધ છે. પહેલા આમાં વાર્ષિક ધોરણે અથવા એક સાથે પૈસા ઉપાડવાની જ મંજૂરી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો