સોનું ખરીદો તો આ મુદ્દા ધ્યાનમાં રાખજો
ધનતેરસમાં સોનાની ખરીદી કરો તો, સાવધાની રાખજો. સોનું મોંઘું હોવાથી ઘણા ઝવેરીઓ 14 કે 16 કેરેટનું સોનું વેચે છે. વિશ્વસનીય જ્વેલર્સ માત્ર 22 કેરેટ ગોલ્ડમાંથી ઘરેણાં બનાવે છે. સોનું ખરીદતી વખતે શુદ્ધતાની ખરાઈ કરવી. હોલમાર્કનો આગ્રહ રાખવો. ચોક્કસ કેટલું વજન છે તે જોઈ લેવું. બજારભાવ જાણીને ખર્ચની ગણતરી કરવી. ઘડામણ ખર્ચ ઓછો રાખવા રકઝક કરવી કારણ કે, તહેવારોમાં મેકિંગ ચાર્જ વધારીને પછી, ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બજેટ નક્કી કરીને જ ઘરેણાં ખરીદવા નીકળવું. પાક્કું બિલ અને સર્ટિફિકેટ લઈ લેવું. બિલમાં રિટર્ન અથવા તો એક્સચેન્જ પૉલિસીના નિયમો ધ્યાનથી વાંચી લેવા. અને હા, માત્ર ઈન્વેસ્ટમેન્ટ કરવું હોય તો, ઘરેણાં નહીં, પણ સિક્કા કે બિસ્કિટ ખરીદવા.
કપાસ વેચવા જાવ તો આધાર લઈને જજો
સરકારે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી છે. કોટન કોર્પોરેશન ઑફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ અને રાજકોટમાં 72 ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોની વિગતવાર માહિતી કોટન કોર્પોરેશનની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. મધ્યમ તારના કપાસનો ટેકાનો ભાવ પ્રતિ મણ 1,324 રૂપિયા છે જ્યારે લાંબા તારના કપાસનો ભાવ 1,404 રૂપિયા છે. પરંતુ બજારમાં કપાસનું વેચાણ ટેકાના ભાવ કરતાં વધારે ભાવે થઈ રહ્યું છે. રાજ્યનાં વિવિધ માર્કેટ યાર્ડમાં મણે પંદરસો રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે. એટલે કે, ટેકાના ભાવ કરતાં બજારમાં સોથી બસ્સો રૂપિયા વધારે ભાવ ચાલે છે. ખેડૂતોએ સરકારી કેન્દ્રો પર કપાસ વેચતી વખતે આધાર કાર્ડ સાથે રાખવું જરૂરી છે અને આધાર સાથે બેન્ક ખાતું લિન્ક હોવું જરૂરી છે કારણ કે, કપાસના પૈસા સીધા બેન્ક ખાતામાં જમા થશે.
‘ભારત ઓર્ગેનિક’ બ્રાન્ડથી ખેડૂતોને ફાયદો
ઓર્ગેનિક ફાર્મિંગ એટલે કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે મહત્ત્વનું પગલું ભર્યું છે. સરકારે રાષ્ટ્રીય સહકારી ઓર્ગેનિક્સ લિમિટેડની સ્થાપના કરી છે અને ‘ભારત ઓર્ગેનિક’ બ્રાન્ડ હેઠળ 6 પ્રોડક્ટનું વેચાણ શરૂ કર્યું છે. ગુજરાતમાં વડુંમથક ધરાવતી આ કંપની દ્વારા તુવેર દાળ, ચણા દાળ, ખાંડ, રાજમા, બાસમતી ચોખા અને સોનામસૂરી ચોખાનું વેચાણ કરવામાં આવશે. બાદમાં 20 ઓર્ગેનિક પ્રોડક્ટનું વેચાણ પણ શરૂ થશે. આ કંપની દ્વારા વેચવામાં આવતી ઓર્ગેનિક પ્રોડક્ટ્સમાંથી જે ફાયદો થશે તેનો 50 ટકા હિસ્સો ખેડૂતને મળશે. ધીમે ધીમે ઓર્ગેનિક પ્રોડક્ટ્સની નિકાસ પણ કરવામાં આવશે.
દિવાળીમાં Jioનો નવો પ્લાન અને નવો ફોન
રિલાયન્સ જિયોએ દિવાળી પહેલાં નવો પ્રિપેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 866 રૂપિયા છે, તેમાં દરરોજ બે જીબી ડેટા મળશે અને પ્લાનની વેલિડિટી 84 દિવસ રહેશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલ અને અનલિમિટેડ 5G ડેટા પણ મળશે. એટલું જ નહીં, સ્વિગી વન લાઈટનું સબ્સક્રિપ્શન 3 મહિના માટે ફ્રીમાં મળશે. ગ્રાહકો સ્વિગીની અન્ય ડિલિવરી સર્વિસનો પણ લાભ લઈ શકશે. 149 રૂપિયા અને તેના કરતાં વધુ મૂલ્યના ફૂડ ઑર્ડર પર 10 ફ્રી હોમ ડિલિવરી મળશે. ઈન્સ્ટામાર્ટ પર 199 રૂપિયાથી વધુ ઓર્ડર કરશો તો 10 ફ્રી હોમ ડિલિવરી મળશે. જિયોએ નવો ફીચરફોન JioPhone Prima પણ લૉન્ચ કર્યો છે. તેની કિંમત 2,599 રૂપિયા છે. આ ફીચરફોનમાં સ્માર્ટફોન જેવા ફીચર્સ સમાવવામાં આવ્યા છે. આ ફોન એમેઝોન, જિયોમાર્ટ તથા રિલાયન્સ ડિજિટલ પર મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો